(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. 5
જસદણમાં શાકમાર્કેટ રોડ ઉપર એક જ રાતમાં અંદાજે પાંચ દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી છે. આ અંગેની વિગતો મુજબ જસદણ શહેરમાં શાકમાર્કેટ રોડ ઉપર વાણીયાવાડીની બાજુમાં આવેલા શિવમ કોમ્પ્લેક્સમાં પંકજભાઈ રવૈયાની શ્રી કટલેરી, મિતલ સાડી સહિતની કટલેરીની, કાપડની વગેરે મળીને અંદાજે પાંચથી વધારે દુકાનોના તાળા તેમજ શટરના નકુચા તોડીએ રોકડ, કટલેરી, સાડી વગેરેની ચોરી કરી હતી.
ચોરીના આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે જેઓને ત્યાં ચોરી થઈ છે તે તમામ દુકાન સંચાલકો આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઊંડાણપૂર્વકની તપાસ થશે. જો ફરિયાદ દાખલ થશે તો જરૂર જણાયે ડોગસ્કવોડ, એફએસએલ સહિતની બાબતોને આધારે તપાસ કરવામાં આવશે. જસદણમાં પીઆઇ તરીકે કે. જે. રાણા આવ્યા બાદ તેમની કડક કામગીરીથી છેલ્લા એક વર્ષથી ચોરી, લૂંટફાટ સહિતના ગુનાઓમાં ખૂબ જ નિયંત્રણ આવ્યું હતું. આજે લાંબા સમય બાદ જસદણમાં ચોરીનો બનાવ નોંધાયો છે.