► શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાની આગેવાનીમાં ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા સહિતની ટીમે ‘સાંજ સમાચાર’ની લીધી શુભેચ્છા મુલાકાત
જામનગર, તા.16
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના થશે ત્યારે તમામ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. ગઈકાલે ચકાસણી બાદ મુખ્ય પક્ષોના ફોર્મ મંજૂર થયા છે. જામનગર ઉત્તર પરથી યુવા ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને દક્ષિણ માંથી દિવ્યેશ અકબરી ઉમેદવાર છે. આ બન્ને ઉમેદવારી સહિત શહેર ભાજપ ટીમ ‘સાંજ સમાચાર’ કાર્યાલયની મુલાકાતે આવેલ.
જામનગર શહેરમાં હાલ ચાલી રહેલા તેમજ મંજૂર થઇ ગયેલા અને પેન્ડીંગ રહેલા વિકાસ કામો ઝડપભેર પુરા કરવા શહેરની બન્ને વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારો અને શહેર ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસના મુદ્દાને પ્રાધાન્ય આપી મતદારો વચ્ચે જઇ રહ્યા હોવાનું જણાવ્યું.
જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો.વિમલભાઇ કગથરાની આગેવાની હેઠળ શહેર ભાજપની ટીમ શહેરની બન્ને વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી (જામનગર દક્ષિણ) અને રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા (જામનગર ઉત્તર) ‘સાંજ સમાચાર’ જામનગર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
તેઓએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં હાલ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને જામનગરના સૌ પ્રથમ ફલાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે આ કામ તેમજ અન્ય અનેક પ્રોજેકટ તેના નિધારિત સમયે પૂર્ણ થાય તે માટે ખાસ કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરના માર્કેટ યાર્ડ નજીક અને લાલપુર બાયપાસ ખાતે બ્રીજના કરેલા ખાતમુર્હુત બાદ આ પ્રોજેકટની અમલવારી તેના પ્રાથમિક કામથી શરૂ કરાવી છે.
આ બ્રીજની સાઇટ ઉપર આવેલા વીજ કંપનીના થાંભલાના શીફટીંગની કાર્યવાહી માટે તજવીજ શરૂ થઇ છે. આ ઉપરાંત સાયન્સ ભવન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, આવાસ યોજનાઓ સહિતના મંજૂર થયેલા પ્રોજેકટોને વહેલી તકે પુરા કરવા પણ તેઓએ ખાત્રી આપી હતી.
જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરીએ જણાવેલ કે, પ્રાથમિક સુવિધાને લગતા કામોએ સતત પ્રક્રિયા છે. જેમ-જેમ નવા વિસ્તારો વિકાસ પામી રહ્યા છે ત્યાં પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ, ભુર્ગભ ગટર અને રસ્તા સહિતના કામો મંજૂર થઇ રહ્યા છે અને તેનું અમલીકરણ પણ થઇ રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં અમારો મુખ્ય મુદ્દો વિકાસને કેન્દ્રમાં રાખીને જ રહેશે.
રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, હું ભલે પ્રથમવાર ચૂંટણી લડતી હોવું પરંતુ મારી પાસે ભારતીય જનતા પાર્ટી પરિવારનું વિશાળ નેટવર્ક તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારના લોકાભીમુખ અભિગમનું મોટું ભાથું છે અને મને વિશ્વાસ છે કે જામનગરની જનતા ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશે. ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ખાસ કરીને રિવાબા જાડેજાએ ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ કરણભાઇ શાહને પણ યાદ કર્યા હતા.
‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, જામનગર ઉત્તર બેઠકના ઇન્ચાર્જ નિલેશભાઇ ઉદાણી, મીડિયા સેલના ભાર્ગવભાઇ ઠાકર, ચંદ્રવદન ત્રિવેદીનું ‘સાંજ સમાચાર’ પરિવાર વતી ડોલરભાઈ રાવલ તથા સંજયભાઈ જાનીએ મોં મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.