જસદણ,તા.17
વિશ્વ પ્રસિદ્ધ વિરપુરના જલારામબાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારના દીકરી વીરબાઈમાંના લગ્ન થયા હતા. પારકાને પોતાના ગણીને પેટ ભરીને જમાડ્યા બાદ જ પોતે ભોજન ગ્રહણ કરતા આ દંપતીની ગાથા સાવ અલગ જ છે. આજે પણ વિશ્વમાં એકમાત્ર આટકોટમાં વીરબાઈમાંનું મંદિર આવેલું છે. જ્યાં વિરપુરની માફક 24 કલાક અન્નક્ષેત્ર આજે પણ ધમધમે છે. ત્યારે આગામી તા.18 ને શુક્રવારે વીરબાઈમાંની પુણ્યતિથી નિમિત્તે આટકોટ સહિત અનેક શહેરોમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
ખમીરવંતા સૌરાષ્ટ્રનો ઈતિહાસ અનેરો રહ્યો છે. અનેક દેવાંશી સ્ત્રી નરરૂપે જન્મી દેવકાર્ય કરી જન્મદાત્રી ધરાને ધન્યધન્ય કરી છે. આવા જ એક સ્ત્રી વીરબાઈમાં કે જેઓ જલારામ બાપાના ધર્મપત્ની હતા. સંત શુરા અને સતીની ભૂમિ એટલે જસદણ તાલુકાનું આટકોટ ગામ.
ભદ્રાવતી નદીના કિનારે વસેલા આટકોટ ગામમાં આશરે 204 વર્ષ પહેલા દેવરાજભાઈ પ્રાગજીભાઈ સોમૈયાને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. તેનું નામ વીરબાઈ રાખવામાં આવ્યું હતું. વીરબાઈમાંના જીવનમાં નાનપણથી જ ભક્તિ તેમના રગેરગમાં ઉતરી ગઈ હતી. સુશીલ સંસ્કારી વીરબાઈમાંના લગ્ન વિરપુર ગામના જલારામ બાપા સાથે થયા હતા. જલારામબાપા અને તેની જાન લાખા ફુલાણીએ સ્થાપના કરેલ માં અંબાજી મંદિરના દર્શન કરવા ગયા હતા. વીરબાઈમાં સવારે ઉઠીને દળનું ઘંટીમાં દળે પછી રોટલા બનાવે અને બન્ને જણા સાધુ-સંતોને જમાડીને પછી પોતે જમતા હતા જે તેમનો નિત્યક્રમ હતો. આજે પણ વિરપુરમાં તે ઘંટી જોવા મળે છે.
વીરબાઈમાં અને જલારામબાપાનો ગૃહસ્થાશ્રમ ઘણો જ સુખી હતો. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાંથી ભાવિકો વિરપુર જલારામના દર્શને દર વર્ષે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
1878-કારતકવદ 9ના દિવસે વીરબાઈમાંએ પોતાની જીવનલીલા સંકેલી સ્વર્ગ સિધાવ્યા હતા. આજે પણ તેની પુણ્યતિથી આટકોટ સહિત અનેક શહેરોમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર જે આટકોટ ગામ આવેલું છે. ત્યાં વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાંનું મંદિર આવેલું છે. ત્યાં વર્ષોથી સવાર-સાંજ અન્નક્ષેત્ર ચાલે છે અને તે જગ્યા પર ચાલીને આવતા દરેક યાત્રિકોને રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જે જગ્યા ઉપર વીરબાઈમાંના લગ્ન થયા હતા એજ જગ્યા ઉપર હાલ મંદિર ઉભું છે.