પઠાણકોટ(પંજાબ), તા. 26
ભારતના પંજાબ સીમા પર પાકિસ્તાન તરફથી ઘુસણખોરીની કોશિશ થઇ હતી. ગત રાત્રે પઠાણકોટ અને અમૃતસર સેકટરમાં ત્રણ જગ્યાએ ઘુસણખોરીની કોશિશને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી હતી જયારે આ પહેલા જમ્મુ- કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોએ ગત 17 નવેમ્બરે ઘુસણખોરીની કોશિશ કરી રહેલા એક આતંકીને ઠાર કર્યો હતો. જયારે અમૃતસરમાં શંકાસ્પદ ડ્રોન તોડી પડાયું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પઠાણકોણ સીમા પર બીએસએફની 1ર1 બટાલિયન દ્વારા ગત રાત્રે પાકિસ્તાનની જલાલા ચોકી પાસે ઘુસણખોરીને નાકામ બનાવાઇ હતી. બીએસએફના જવાનોના ફાયરીંગ બાદ ઘુસણખોરો પાક. સીમામાં ભાગી ગયા હતા.
જયારે અમૃતસરની સીમા ચોકી દાઓકમ ગઇકાલે મોડી રાત્રે ડ્રોન દેખાયું હતું જેને બીએસએફના જવાનોએ તોડી પાડયું હતું. આ સિવાય અમૃતસરની જ પંજગાઇ સીમાની ચોકી પરથી પણ રાત્રે શંકાસ્પદ ડ્રોનની એકટીવીટી દેખાઇ હતી, જેના પર ભારતીય જવાનોએ ફાયરીંગ કર્યું હતું. બાદમાં આ ડ્રોન પાકિસ્તાન તરફ પાછુ ચાલ્યુ ગયું હતું. પાકિસ્તાનની સીમા પાસે પંજાબના ત્રણ વિસ્તારોમાં બીએફએફના જવાનો સર્ચિંગ ઓપરેશન ચલાવી રહ્યા છે.