રાજકોટ તા.26
પાટીદાર સમાજના નેતા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિદેશપ્રવાસેથી પરત આવ્યા છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં તેઓ જાહેરમાં કે ખાનગી રીતે એકટીવ થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
માહિતગાર સૂત્રોએ કહ્યું કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કેટલાંક દિવસથી વિદેશપ્રવાસે હતો. બે દિવસ પુર્વે પરત આવી ગયા છે. તેઓનો રાજકારણ પ્રત્યેનો લગાવ જાણીતો છે. જાહેર કે સક્રીય રાજકારણમાં ન આવવા છતાં ‘બેક-ડોર’ ચોકઠા ગોઠવતા હોવાનું કહેવાય છે. જો કે, આ વખતની ચૂંટણી અગાઉ જ તેઓએ જાહેર કર્યુ હતું કે તેઓ કોઈપણ ઉમેદવાર માટે ચૂંટણીપ્રચાર નહીં કરે.
ખાસ કરીને ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા રાજકોટ-70ની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બન્યા હોવાથી તેઓને ચોખવટ કરી હતી. જો કે ચૂંટણી રાજકારણમાં પ્રવેશતાની સાથે રમેશભાઈ ટીલાળાએ ટ્રસ્ટીપદેથી રાજીનામુ આપી દીધુ છે.
થોડા મહિના પુર્વે ખુદ નરેશ પટેલે સક્રીય રાજકારણમાં આવવાની તૈયારી પણ કરી હતી જે છેલ્લી ઘડીએ પડતી મુકી હતી. સક્રીય રાજકારણમાં ન હોવા છતાં તેમના દ્વારા કેટલાંક ઉમેદવારો પ્રત્યે લાગણી હોય જ છે અને પોતે ન જાય તો પણ ખોડલધામના નેટવર્ક મારફત મદદ કરતા હોય છે. 2017ની ચૂંટણીમાં પણ રાજકોટ-જેતપુર જેવી બેઠકોમાં છેલ્લી ઘડીએ તેમના પુત્ર મારફત પ્રચાર કરાવડાવ્યો હતો.
પાટીદાર સમાજના નેતા તરીકે નરેશ પટેલનું નામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું સારુ વજન છે. પાટીદારોનું સમર્થન મળે તે માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો ખોડલધામ તથા નરેશ પટેલની વખતોવખત મુલાકાત લેતા જ હોય છે. તેમના દ્વારા પાટીદારોને વધુ પ્રતિનિધિત્વ આપવા માટે આગ્રહ કરાતો હોવાનુ કહેવાય જ છે. પ્રથમ તબકકાના ચૂંટણી મતદાનને ચાર દિ બાકી છે. નરેશ પટેલ બે દિવસ પુર્વે પરત આવ્યા છે ત્યારે ‘બેક-ડોર’ સક્રિય રહે છે કે કેમ તે વિશે અટકળો છે.