નવીદિલ્હી, તા.2 : ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રવિવારથી ઢાકામાં શરૂ થઈ રહી છે. આ માટે રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ઢાકા પહોંચી ગયા છે. ઑસ્ટ્રેલિયામાં પૂરા થયેલા ટી-20 વર્લ્ડકપ બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે સીનિયર ખેલાડીઓને આરામ અપાયો હતો અને હવે તે બાંગ્લાદેશના પ્રવાસથી વાપસી માટે તૈયાર છે.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીનો હિસ્સો નહીં રહેલા કોહલી અને રોહિત શર્મા સહિત અનેક ખેલાડીઓ બાંગ્લાદેશ પહોંચી ચૂક્યા છે. ન્યુઝીલેન્ડ બાદ હવે બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે શ્રેણીનો ભાગ રહેલા શિખર ધવન, વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડી આજે ટીમ સાથે જોડાશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે પહેલી વન-ડે રવિવારે ઢાકામાં રમાશે.
રોહિતની ગેરહાજરીમાં શિખર ધવને ન્યુઝીલેન્ડમાં વન-ડે શ્રેણી દરમિયાન ભારતની કમાન સંભાળી હતી જેમાં ભારતનો 0-1થી પરાજય થયો હતો. ભારતે બાંગ્લાદેશમાં ત્રણ વન-ડે (4, 7 અને 10 ડિસેમ્બર) તેમજ બે ટેસ્ટની શ્રેણી રમવાની છે અને રોહિત શર્માના નેતૃત્વમાં મજબૂત ટીમ પાડોશી દેશનો મુકાબલો કરશે. ટેસ્ટ મેચ ચટગાંવમાં 14થી 18 ડિસેમ્બર અને મીરપુરમાં 22થી 26 ડિસેમ્બર વચ્ચે રમાશે.
શ્રેણી પહેલા જ બાંગ્લાદેશને ઝટકો: કેપ્ટન તમીમ ઈકબાલ બહાર
રવિવારથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલાં જ બાંગ્લાદેશ ટીમને મોટો ઝટકો લાગી ગયો છે. ટીમના કેપ્ટન તમીમ ઈકબાલને ઈજા થઈ જતાં તે વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ચૂક્યો છે અને હવે તેનું ટેસ્ટ શ્રેણીમાં રમવું પણ શંકાસ્પદ છે.