જામનગર તા.24: જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના બે જવાનો ને તેઓની લાંબી અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રજાસત્તાક દિને ગૌરવવંતો મુખ્યમંત્રી મેડલ એનાયત કરવામાં આવશે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ યુનિટના જવાનો કાયદો-વ્યવસ્થાની ફરજો, તાલીમ, ઉચ્ચ કોટીનું ડિસીપ્લીન, ફરજ પ્રત્યેની નિષ્ઠા વગેરે માટે આગવું સ્થાન ધરાવે છે.
જામનગર જિલ્લા હોમગાર્ડઝના કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીના નેતૃત્વમાં જવાનો પોલીસની સાથે ખભ્ભેખભો મિલાવીને ફરજ બજાવી રહ્યા છે. કુદરતી હોય કે માનવ સર્જીત તમામ આફતોના સમયે હોમગાર્ડઝ જવાનો સમાજમાં સેતુરૃપ કામગીરી કરી રહ્યા છે. ત્યારે હોમગાર્ડઝમાં લાંબી અને ઉત્કૃષ્ટ કામગીરી ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગૌરવવંતો મુખ્યમંત્રી મેડલ જાહેર કરવામાં આવ્યો છે.
આગામી પ્રજાસત્તાક દિને જામનગર જિલ્લાના સિટી-સી યુનિટના સાર્જન્ટ સચિનભાઈ ઓડીચનું મેડલ માટે નામ જાહેર થયું છે. જ્યારે જામવંથલી યુનિટના સેક્શન લીડર સહદેવસિંહ જાડેજાના નામની પણ મેડલ માટે જાહેરાત કરવામાં આવી છે. બંને જવાનોને તા.26 જાન્યુઆરીના દિને મેડલ એનાયત કરાશે.