અમદાવાદ તા.24 : ગાંધીનગર, અમદાવાદ અને ચંદીગઢ જેવા શહેરો તેમજ અનેક વિખ્યાત સ્થાપત્યોની ડીઝાઈન કરનાર પદ્મશ્રી અને પદ્મભૂષણના ઈલ્કાબથી સન્માનીત જાણીતા આર્કીટેકટ બાલકૃષ્ણ દોશી (બી.વી.દોશી) નું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયુ છે તેમના અંતિમ સંસ્કાર આજે થલતેજ સ્મશાન ગૃહ ખાતે થશે. ભારતના લે ‘કોર્બુઝિયટ’ તરીકે ઓળખાતા બી.વી.દોશીએ ગાંધીનગર અમદાવાદ અને ચંદીગઢ જેવા શહેરોની ડિઝાઈન તૈયાર કરી હતી.
આ ઉપરાંત અમદાવાદની ઓળખ ગણાતા આઈઆઈએમનાં આર્કીટેકટ હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદની ગુફા, ફલેમ યુનિવર્સીટી, આઈઆઈએમ ઉદયપુર, આઈઆઈએમ બેંગ્લોર, એનઆઈએફસી દિલ્હી, એપ્ટ યુનિવર્સીટીની ડીઝાઈનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ તેમની જાણીતી ડીઝાઈન છે. બી.વી.દોશીનો જન્મ 1927 માં પૂણેમાં થયો હતો. તેમનો પરિવાર ફર્નીચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
તેમણે જે.જે.સ્કુલ ઓફ આર્કીટેકચરમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પેરિસમાં લે કોર્બુઝિયટ સાથે વરિષ્ઠ ડીઝાઈનર તરીકે કામ કર્યુ હતું.સ્વ.બાલકૃષ્ણ દોશીને જયારે યુ.કે.નો પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ 2022 માં એનાયત કરવાની જાહેરાત થઈ ત્યારે વડાપ્રધાન મોદીએ સ્વ.દોશીની સિદ્ધિને બિરદાવી કહ્યુ હતું કે વિશ્ર્વ સ્થાપત્ય ક્ષેત્રે તેમનું યોગદાન ખુબ જ યાદગાર છે. બી.વી.દોશી પદ્મશ્રી, પદ્મભૂષણ, આગાખાન એવોર્ડ, ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સહિત વિવિધ સન્માનથી સન્માનિત થયા હતા.તેમણે અનેક નવી પેઢીના આર્કીટેકસ તૈયાર કર્યા હતા.