(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.30
દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર થી ભડીયાદ હઝરત મહેમુદશા બુખારીદાદાના ઉર્ષ શરીફ નિમિત્તે જતી પગપાળા જન મેદની આજરોજ શહેરના ચાવડીગેઇટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન ઝમીર મહંમદશા બાપુની દરગાહ શરીફ ઉપર સલાતો સલામ અને સામુહિક દુઆ કરી મેદની રવાના થઇ હતી. ચાદર ચડાવી
આ મેદનીને ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ, સૈયદ હુસૈનમીયાબાપુ સહિતનાઓએ લીલી ઝંડી બતાવી મેદનીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરસેવક કાળુભાઇ બેલીમ, હનિફભાઇ ચૌહાણ(મોટાભાઇ), સબીરભાઈ ખલાણી, સીરાજભાઇ નાથાણી, મુન્નાભાઇ વરતેજી, મહેબુબખાન બલોચ, તૌફીકભાઇ શેખ, ડેવીડભાઈ કુરેશી, રૂસ્તમભાઈ ચાવડા, સમીરખાન પઠાણ (ગારીયાધાર) સહિતનાઓ ખાસ ઉપસ્થિતરહ્યા હતા.
આ જનમેદનીનું ઝુલુસ ચાવડીગેટથી નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ઇસ્લામી નિશાનો, બેનરો સાથે ‘દોમ બુખારી દોમ દાદા’ના નારા સાથેઝુલુસ નીકળ્યું હતું. આ પગપાળા મેદની માઢીયા, અઘેલાઇ અને ધોલેરા ત્રણ રાત્રી મુકામ કરી આગમી તા. 1- 2-2023ને બુધવારે વહેલી સવારે ભડીયાદ મુકામે પહોંચશે. જયાં સવારે 10 થી 11 કલાકના સુમારે દરગાહ શરીફ પર નિશાન ચડાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સર્વ પ્રથમ અમદાવાદના વણકર સમાજના આગેવાન દ્વારા નિશાન મુબારક નીચે દરગાહપાસેથી ઉંચા ગુંબજ ઉપર ફેંકવામાં આવે છે ત્યારબાદ વડોદરાથી આવતા મુસ્લીમ ઘોબી આગેવાનો દ્વારા પણ આજ રીતે નિશાન મુબારક ઉંચા ગુંબજ ઉપર નીચેથી ઉંઘે ઘા કરી ચડાવવામાં આવે છે. પીરદાદાની દુઆથી આ રીતે નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્મિલ શ્રધ્ધાળુ લોકો ઉમટી પડે છે અને ‘દોમ ખુબારી દોમ દાદા’ના નારા લગાવે છે આ વેળાએ કૌમી એકતા, ભાઇચારા અને એખલાસના દર્શન થાય છે આ દરગાહ શરીફ કૌમી એકતાનું પ્રતિક છે.
ભાવનગરથી નીકળતી પગપાળા જનમેદનીના આ કાર્યને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમીટીના પ્રમુખ ગફારભાઇ શેખ, ઉપપ્રમુખ અજીતભાઇ સૈયદ, અસ્લમભાઇ કુરેશી, અલ્તાફભાઈ બાદશાહ, ઉસ્માનભાઇ શેખ સહિતના આગેવાનો કાર્યકરો સારી જહેમત ઉઠાવી રહ્યા છે.