અમદાવાદ તા.31
મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના વારસોને વળતર ચુકવવાના આદેશનો ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ સ્વીકાર કર્યો છે. વાહન અકસ્માત કેસના દાવાના ધોરણે અથવા પરિવારમાં કમાનાર મોભીની કમાણીના ધોરણે સુપ્રીમ કોર્ટની ફોર્મ્યુલા મુજબ વળતર આપવા હાઈકોર્ટે તાકીદ કરી હતી અને તેનો ઓરેવાએ સ્વીકાર કર્યો છે.
બ્રિટીશકાળ વખતના ઝુલતા પુલના સંચાલનનો કોન્ટ્રાકટ ધરાવતા ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ તાજેતરમાં અદાલત સમક્ષ સ્વીકાર્યુ હતું કે કાંઈક ખોટુ થયુ હોવાથી 30 ઓકટોબર 2022ના રોજ ઝુલતો પુલ તૂટી ગયો હતો.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની બેંચે મૃતકોના વારસદારોને ચુકવવાના થતા વળતરનાં નાણાં રાજય સરકારમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટની ફોર્મ્યુલા સરલા વર્મા કેસ સાથે સંકળાયેલી છે. 1988ના આ કેસમાં સરલાના 38 વર્ષીય પતિનુ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની હડફેટે મોત નિપજયુ હતું. અજંતાના વકીલ નિરૂપમ નાણાવટીએ કહ્યું કે હાઈકોર્ટની સુચના મુજબ મૃતકોના વારસદારોને વળતર આપ્યા બાદ પણ કંપનીની જવાબદારી ખત્મ નહીં થાય. જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ 11 વળતર દાવા પેશ થયા છે.
પંચમા વળતર નકકી થઈ જવાના સંજોગોમાં તે રકમ જમા કરવાની છુટ્ટ આપવામાં આવે. અદાલતે જો કે, એમ કહ્યું કે કોઈ મુદ્દા ઉપસ્થિત થાય ત્યારે ફેંસલો કરાશે.ગ્રાહક પંચ દ્વારા વળતર દાવા વિશે 6 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
મોરબીનો રાજવી પરિવાર સ્મારક બનાવાશે
ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા 135 લોકોની યાદમાં સ્મારક બનાવવાનો મોરબીના રાજવી પરિવારે નિર્ણય કર્યો છે. 1979ની મચ્છુ પુર હોનારતમાં સેંકડો લોકો મોતને ભેટયા હતા તેના સ્મારકની બાજુમાં જ આ નવુ સ્મારક બનાવવાની દરખાસ્ત છે. ડીઝાઈન તથા અન્ય પ્રક્રિયા હવે થશે