રાજકોટ, તા. 1 : મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડાના વતની હતા. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલથી ચૂંટાઈને આવ્યા હતા. ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
83મા જન્મદિવસે ગાવામાં આવ્યા હતા જીવતા મરસિયા
સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ નજીક આવેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કર્યુ હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરૂદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આ માટે ગોંડલના રીબડા ખાતે 24મે 2019ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગાયા હતા. તેની સાથે-સાથે મહિપતસિંહે રીબડાની 111 દિકરીઓને ક્ધયાદાન પણ આપ્યું હતું.