રાજકોટ, તા. 2
શહેરના નટરાજનગર, સાધુવાસવાણી રોડ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનની ડિમોલીશનની પ્રક્રિયા પર રોક લગાવાની માંગણી સાથે આજે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જશવંતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ આ વિસ્તારના રહીશોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી આવી આ અંગે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી જશવંતસિંહ ભટ્ટીએ આ અંગે જણાવ્યું હતું કે નટરાજનગર, સાધુવાસવાણી રોડ વિસ્તારમાં પ્લોટ નં. 164, 426, 437, 450, 458, 459માં લોકો તેમના પરિવાર સાથે આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. આ રહીશો મકાનવેરા, કોર્પોરેશનના તમામ ટેકસ ભરપાઇ કરે છે. તેઓને જીઇબી કનેકશન પણ આપવામાં આવે છે. પરંતુ અહીં રહેતા 80 થી 100 જેટલા પરિવારના મકાનો છેલ્લા થોડા સમયથી કોર્પો.ના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા એનકેન પ્રકારે મકાન ખાલી કરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. જેમાં અસામાજિક તત્વો દ્વારા પણ મકાનો ખાલી કરાવવા માટે ધાક ધમકી આપવામાં આવી રહી છે. જેથી આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોમાં ફફડાટ ફેલાયેલ છે. આ અંગે આ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનની ડિમોલીશનની પ્રક્રિયા અટકાવવા માટે આદેશ આપવા તેમજ ભાડુતી તત્વો કે જે મકાનો ખાલી કરાવવા માટે ધાક ધમકી આપી રહ્યા છે તેના પર રોક લગાવવા માટે માંગણી ઉઠાવવામાં આવી છે.