નવી દિલ્હી તા.4 : ભારતમાં ફુગાવાની સ્થિતિ કાબુમાં આવી રહી હોવાનો દાવો છે અને તેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ફરી એક વખત વ્યાજદર વધારશે કે કેમ તે પણ ચર્ચા છે. આ દરમ્યાન બ્રિટનમાં ફુગાવો ઓછો થતો નથી અને ફરી એક વખત બ્રિટનની મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજદરમાં 50 બેઝીક પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા સતત દશમી વખત વ્યાજદર વધારાયો છે. બ્રિટનમાં આ સાથે હવે મધ્યસ્થ બેંકનો વ્યાજદર 4 ટકા થયો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને તેના કારણે બ્રિટનમાં ગેસથી લઈ વિજળી અને આવશ્યક ચીજો સતત મોંઘી થઈ ગઈ છે. જો કે અર્થશાસ્ત્રીઓ માને છે કે સંભવિત આ છેલ્લો વ્યાજદર વધારો હોઈ શકે છે.
જો કે ડિસેમ્બરમાં ફુગાવો 10.5 ટકા નોંધાયો છે. પરંતુ ઓકટોબરમાં તે 11.1 ટકા હતો તેનાથી ઓછો છે પરંતુ આ આંકડો યુરોપ અને યુએસના કરતા વધુ છે તે સમયે વ્યાજદરમાં કરાયેલા વધારા અંગે ખરેખર પરિણામો મળશે કે કેમ તે પણ પ્રશ્ન છે. બ્રિટનમાં આવશ્યક ચિજોના ભાવ ઉંચા જતા વધુ પગાર સહિતની માંગણીઓ સાથે સરકારી સેવાના એક બાદ એક એકમોના કર્મચારીઓ હડતાલ પર જઈ રહ્યા છે.