રાજકોટ, તા.5
ગુજરાત સરકારે જંત્રી દરમાં તાત્કાલિક અસરથી બમણો વધારો કરી નાખતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી છે. આજે બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ (કન્ફરર્ડેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ ઇન્ડિયા)ના અમદાવાદના સભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા અને જંત્રી દરમાં રાતોરાત વધારો ન કરો અને સમય આપો તેવી રજુઆત કરી હતી.
આજે સુરતના બિલ્ડરો સી.આર.પાટિલને મળ્યા હતા. અને જંત્રી દરનો તબક્કા વાર વધારો કરવા અને સમય આપવા માંગ કરેલી. નોટબંધીની જેમ રાતોરાત નિર્ણય સામે બિલ્ડરોએ વાંધો ઉઠાવ્યો છે.
બિલ્ડરોના એસોસિએશને વાંધા સૂચનો મંગાવવા, સૂચિત જંત્રી લાગુ કરવા જેવી માંગ કરી છે. જંત્રી વધી, પરંતુ જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી ઘટાડો જેવા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરાયા છતાં કોઈ બદલાવ નથી. ડબલ જંત્રી દર થી નગરપાલિકા અને મહાનરપાલિકાના પ્રોપર્ટી ટેકસ વધશે અને પેઇડ એફએસઆઈ FSI પણ વધશે. ખેડૂતોની નવી જૂની શરતની જમીન પર પ્રીમિયમ પણ વધશે. કેપિટલ ગેઈન ટેક્સનો પણ પ્રશ્નો ઊભો થશે. તેવું બિલ્ડરો જણાવી રહ્યા છે.
આજે રાજ્યભરના બિલ્ડરો ઝૂમ મિટિંગ કરી અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આવતીકાલે મુખ્યમંત્રીને મહેસૂલ વિભાગના પરિપત્રને મુલતવી રાખવા ક્રેડાઈ ગુજરાતના સભ્યો રજૂઆત કરાશે. બિલ્ડર એસો. ૧ મેથી જંત્રી દરનો વધારો કરવા માંગ કરશે. અગર સરકાર પરિપત્રમાં સુધારો નહીં કરે તો બિલ્ડરો વિરોધ નોંધાવશે.