અમદાવાદ તા.18
એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા હાઈકોર્ટે છ વર્ષ બાદ પુન: આકારણી માટેની ઈન્કમટેકસ વિભાગની નોટિસને રદબાતલ ઠરાવી છે. હાઈકોર્ટે ઠરાવ્યું છે કે છ વર્ષ પછી પાઠવવામાં આવેલી નોટિસ મુદત બહારની હોઈ તેને રદ કરવામાં આવે છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ-સીબીડીટીના પરિપત્ર અને સૂચનાઓ સંબંધિત વિભાગ અને તંત્રને જ લાગુ પડે છે, કરદાતાને નહીં’. આ સાથે જ હાઈકોર્ટે સંબંધિત મામલે થયેલી અનેક રિટ પિટિશનો ગ્રાહ્ય રાખતા ઉકત આદેશ સાથે તમામનો નિકાલ કર્યો હતો.
આ સમગ્ર મામલે અનેક અરજદાર કંપનીઓ દ્વારા 26મી જુલાઈ 2022ના રોજ વિભાગ દ્વારા તેમના વર્ષ 2014-15 માટેના ઈન્કમટેકસ એસેસમેન્ટને રિઓપન કરવા માટેની નોટિસને પડકારવામાં આવી હતી. અરજદાર કરદાતાઓની દલીલ હતી કે તેમને પાઠવવામાં આવેલી નોટિસ અયોગ્ય, ગેરકાયદેસર, કાયદાથી વિપરીત અને હુકૂમત ક્ષેત્રની બહારનો વિષય છે.
અરજદારો વિવિધ કંપનીઓ છે જેઓ કંપનીજ એકટ હેઠળ નોંધાયેલી છે અને મોટાભાગે તેમના સ્ટેક હોલ્ડર્સ ભારતીય છે. અરજદારોને ઈન્કમટેકસની પુન: આકારણી માટે વિભાગ તરફથી ધારા 148 હેઠળની નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ 1-4-2021 અને 30-6-2021ના સમયગાળા દરમિયાન પાઠવવામાં આવી હોઈ વિવાદ સર્જાયો હતો, કેમ કે 1-4-2021થી પુન: આકારણી માટેની નવી જોગવાઈઓ અમલમાં આવી ગઈ હતી અને તેમ છતાંય જુની જોગવાઈઓ અન્વયે નોટિસ પાઠવવામાં આવી હતી.
આવા અનેક કેસો સમગ્ર દેશમાં સામે આવ્યા હતા અને એમાં વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે નિર્દેશો અને આદેશો કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પણ લિમિટેશનના ગ્રાઉન્ડના આધો જ ટેકસ વિભાગની નોટિસોને રદ કરતો આદેશ ર્ક્યો છે.