રાજકોટ, તા.18
બામણબોરમાં ગાંજાની ખેતી કરતાં 280 છોડવા સાથે પકડાયેલા ખેડુત વશરામ બાવળિયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે મંજુર કરી છે. તા. - 06/10/2021ના રોજ એરપોર્ટ પોલીસે નવાગામ (બામણબોર)ના સીમ વિસ્તારમાં આવેલ વડવાળુ વીડખેતર તરીકે ઓળખાતા આરોપી વશરામભાઈના ખેતરમાં દરોડો પાડયો હતો અને વાડીમાં મરચીના વાવેતર વચ્ચેથી 280 જેટલા શંકાસ્પદ છોડવા કબ્જે કર્યા હતા.
આ છોડવાનો વજન 2.190 કિલોગ્રામ થયો હતો. એફ. એસ. એલ. માં 14 માસ બાદ રિપોર્ટ આવતા ગુનો દાખલ થયેલ હતો અને પોલીસ દ્વારા આરોપી વશરામભાઈની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસ પુરી થઇ જતા પોલીસ અમલદારોએ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. આરોપીએ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ.
જે જામીન અરજી ચાલવા પર આવતા સરકાર પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ્દ કરવા વિનંતી કરેલ હતી, જે અરજીના કામે આરોપી તરફે તેમના એકવોકેટ દ્વારા વિસ્તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતા કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, ભાર્ગવ ડી. બોડા, કૃણાલ એસ. વીંધાણી, રવિ વી. રાઠોડ તથા જુનિયર આસિસ્ટન્ટ તરીકે યશરાજસિંહ એમ. જાડેજા રોકાયેલ હતા.