દહેરાદુન, તા.22 : ચાર ધામ યાત્રા 2023 શરૂ થતાં પહેલાં જ ખરાબ હવામાનને કારણે મુશ્કેલી વધી રહી છે. ઉત્તરાખંડના પર્વતીય જિલ્લામાં સતત પડી રહેલા વરસાદ અને બરફવર્ષાને કારણે યાત્રાની તૈયારી કરી રહેલી જિલ્લા પ્રશાસન ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. સૌથી વધુ નુકસાન કેદારનાથ ફુટ રૂટ પર થયું છે.
સતત પડી રહેલા બરફવર્ષાને કારણે કેદારનાથ ધામની પાસે ભૈરવ ગધેરા પર એક ગ્લેશિયર તૂટીને ફુટ રૂટ પર પડ્યો છે. ગ્લેશિયર તૂટવાથી યાત્રાની તૈયારી કરી રહેલી જિલ્લા પ્રશાસન ટીમને રોકી દેવાઈ છે. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે તીર્થ યાત્રીઓ માટે ખુલી રહ્યાં છે. આ સીઝન શરૂ થતાં જ દેશ-વિદેશથી તીર્થ યાત્રી ચાર ધામના દર્શન માટે ઉત્તરાખંડ આવે છે. જો કે રાહતની વાત એ છે કે ગ્લેશિયર તૂટવાથી કોઈ જાનહાની થઈ નથી. કેદારનાથ ધામમાં સતત ત્રીજા દિવસે જોરદાર બરફવર્ષા થઈ છે.
અહીં ચારેબાજુ બરફની સફેદ ચાદર જ જોવા મળે છે. બરફવર્ષાને કારણે યાત્રાની તૈયારીઓને અસર થઈ છે. મંગળવારે ભીમબલી સુધી બરફવર્ષા થઈ હતી. લોનિવિ ડીડીએમએનું કહેવું છે કે હવામાન સાફ થતાં અને બરફવર્ષા બંધ થતાં જ ફુટ રૂટ પરથી બરફ હટાવી દેવામાં આવશે. માર્ચ પૂરો થવામાં છે ત્યારે ફરી એક વખત હવામાને મુશ્કેલી વધારી છે.
એક તરફ કેદારનાથ યાત્રાની તૈયારીઓ થઈ રહી છે તો બીજી બાજુ સતત પડતી બરફવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડી વધી ગઈ છે. ફુટ રૂટ પર અવરજવર કરવાનું ઘણું જ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને લિંચૌલીથી કેદારનાથ સુધીની બરફવર્ષાને કારણે મજૂરો પણ અવરજવર નથી કરી શકતા. કેદારનાથ લગભગ બે ફુટથી વધુ બરફ પડ્યો છે. જ્યારે ફુટ રુટ પર પણ બરફવર્ષા થઈ છે.