જુનાગઢ તા.23 : હાલ જુનાગઢમાં છેલ્લા સાતેક વર્ષથી કોઈને કોઈ કામ બાબતે ચોતરફ રોડ ખોદીન નાખવામાં આવેલા છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે પરંતુ તંત્રને પ્રજાની પડી જ ન હોય તેવી દશામાં જુનાગઢ નગરવાસીઓ જીવી રહ્યા છે ઠેર ઠેર રીક્ષાઓ વાહનો ટ્રકો પશુઓ મોટર સાયકલ ચાલકો ખોદેલા રોડ રસ્તા ખાડામાં પડી રહ્યાના બનાવો બનતા જ રહે છે.
જેમાં વધુ એક ખાડામાં મોટર સાયકલ પડતા યુવાનનો ભોગ લેવાયો છે. ફરીયાદી જેન્તીભાઈ જેઠાભાઈ રાઠોડ (ઉ.58) રે.ખામધ્રોલ રોડ કલાપી નગર વાળાનો પુત્ર ગત તા.25/2ના ખામધ્રોળ રોડ 66 કેવીથી તેના મોટર સાયકલ નંબર જીજે 11 બીજી 9342માં રાજેશભાઈ જેન્તીભાઈ રાઠોડ (ઉ.34) નીકળેલ
ત્યારે જીવન ધારા હોસ્ટેલની બાજુમાં તંત્રએ ખોદેલ ખાડામાં રાજેશભાઈનું મો.સા. ખાડામાં ખાબકતા શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. આ અંગેની ફરીયાદ મૃતકના પિતા જેન્તીભાઈએ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આમ નિર્દોષ યુવાનનો તંત્રના વાંકે ભોગ લેવાયા છતા તંત્રની આંખ ઉઘડતી નથી. પ્રજા ફરીયાદ કરે તો પણ કોને કરે? તેવો તાલ સર્જાયો છે.