(વિપુલ હિરાણી) ભાવનગર, તા.23 : ભાવનગર જિલ્લાના કુંભણ કેન્દ્રવર્તી શાળાના બાળકોને વિશ્વ ચકલી દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેની સમજ આપતા જણાવ્યું કે આજે 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઘરની ચકલી લુપ્ત થવાના આરે છે. પ્રથમ ચકલી દિવસ 2010માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો.ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.
શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. લુપ્ત થતી ચકલીઓ બચાવી શકાય. આ પ્રસંગે રમેશભાઈ બારડ એ નાનાં નાનાં બાળકોને ચકલીની વાર્તા સંભળાવી હતી અને શીતલબેન ભટ્ટી એ ચકલીના ગીતો સંભળાવ્યા હતાં.