રાજકોટ તા.24 : કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા આગામી તા.17થી 26 એપ્રિલ દરમ્યાન યાત્રાધામ સોમનાથ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમનું ઉદ્ઘાટન તા.17ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ પ્રસંગે સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિરાટ રોડ શો પણ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યક્રમને લઈને રાજય સરકાર અને વહીવટી તંત્ર તૈયારીઓમાં ગુંથાઈ ગયું છે. સૌરાષ્ટ્ર-તમીલ કાર્યક્રમ સંદર્ભે આગામી રવિવારે મદૂરાઈમાં વિરાટ રોડ શો યોજવામાં આવેલ છે. મદૂરાઈ ખાતે યોજાનારા આ રોડ શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરૂષોતમ રૂપાલા સહિતના મહાનુભાવો ભાગ લેનાર છે તેની સાથે રાજયભરમાંથી એક માત્ર રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ પણ આ રોડ શોમાંથી ભાગ લેનાર હોય કલેકટર અરૂણ મહેશ બાબુ આજે બપોર બાદ
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તામીલનાડૂ જવા રવાના થનાર છે. કલેકટર અરૂણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે આ સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમ માટે 12 હજારથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન પોર્ટલ પર થવા પામેલ છે. આ રાજયમાં કાર્યક્રમ સોમનાથ ઉપરાંત કેવડીયા તથા રાજકોટ ખાતે યોજાશે.