◙ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: મહતમ તાપમાન નોર્મલથી નીચુ રહેશે
રાજકોટ તા.28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થવાને માંડ ત્રણ-ચાર દિવસ થયા છે ત્યાં ફરી આવતીકાલથી ત્રણ દિવસ માવઠુ-હળવો કમોસમી વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. સમગ્ર સપ્તાહ દરમ્યાન તાપમાન નોર્મલથી નીચુ જ રહેવાની શકયતા છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે, માવઠાનો છેલ્લો રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ કાલથી ત્રણ દિવસમાં ફરી કમોસમી વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર દોઢ કિલોમીટરનાં લેવલે અપર એર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે.આ સિવાય ઈરાન પર 5.8 કિલોમીટરના લેવલે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયુ છે તે પૂર્વ તરફ અર્થાત ભારત બાજુ આગળ આવી રહ્યું છે અને 29 થી 31 માર્ચ દરમ્યાન તેની અસર જોવા મળશે.
તા.28 માર્ચથી 3 એપ્રિલ સુધીની આગાહીમાં તેઓએ કહ્યું કે, 29 થી 31 માર્ચ દરમ્યાન વાતાવરણમાં અસ્થિરતા વધવા સાથે પવન ફરતો રહેશે. આકાશમાં વાદળો દેખાશે અને એકાદ-બે દિવસ છુટાછવાયા ઝાપટા-હળવો વરસાદ થવાની શકયતા છે.
ગરમી વિશે તેઓએ કહ્યુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં મહતમ તાપમાન નોર્મલ કરતા બે થી ત્રણ ડીગ્રી નીચે રહે છે.હાલ નોર્મલ તાપમાન 38 ડીગ્રી ગણાય છે. તેની સામે અમદાવાદનું મહતમ તાપમાન 36.4 રાજકોટનું 36.2, ભુજમાં 35.5, વડોદરામાં 35.4 તથા ડીસામાં 34.6 ડીગ્રી નોંધાયું હતું. આગાહીના સમય ગાળા દરમ્યાન પણ મહ્તમ તાપમાન નોર્મલથી નીચુ જ રહેશે માવઠાના માહોલ દરમ્યાન વધુ નીચે સરકી શકે છે.