રાજકોટ તા.29 : મુંબઈ શેરબજારમાં આજે તેજીનો ઝોક હતો અને સેન્સેકસમાં 475 પોઈન્ટનો સુધારો હતો એનએસઈમાં માર્ચ ફયુચરનો અંતિમ દિવસ હોવાના કારણોસર ઓળીયા સરખા કરવાનું માનસ હતું. શેરબજારમાં શરૂઆત સ્થિર ટોને થયા બાદ મોટાભાગના શેરો બેતરફી વધઘટે અટકાતા રહ્યા હતા.
એનએસઈમાં માર્ચ ફયુચરનો છેલ્લો દિવસ હતો. એકંદર માર્કેટનો માહોલ અનિશ્ર્ચિત હોવાથી ઉભા વેપાર સરખા કરવાનું વલણ હતુ. આવતીકાલે રામનવમી નિમિતે માર્કેટ બંધ રહેવાનુ છે. અદાણીના શેરો ગઈકાલે પટકાયા બાદ આજે ફરી ઉંચકાયા હતા. ગીરવે શેર છોડાવી લેવામાં આવ્યાનો પુનરોચ્ચાર કરીને મીડીયા રીપોર્ટને ફગાવી દેવાતા ફરી ઉછાળો હતો.
અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈઝ, વગેરે ઉંચકાયા હતા. આઈસર મોટર્સ, બજાજ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ ટીસીએસ, અલ્ટ્રાટેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, હિન્દ લીવર, કોટક બેંક, મહિન્દ્રામાં સુધારો હતો. રીલાયન્સ એશીયન પેઈન્ટસ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંકમાં ગાબડા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 475 પોઈન્ટના સુધારા સાથે 58086 હતો તે ઉંચામાં 57905 તથા નીચામાં 57524 હતો.નીફટી 166 પોઈન્ટના સુધારાથી 17117 હતો તે ઉંચામાં 17058 તથા નીચામાં 16940 હતો.