મુંબઈ: એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં એકટી રામચરણ અને જુનીયર એનટીઆરની દોસ્તીને ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ ઓસ્કાર માટે પ્રમોશન દરમિયાન ખબર આવી હતી કે બન્ને સ્ટારની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે. હવે 27 માર્ચના રામચરણની બર્થ ડે પાર્ટીમાં પણ જુનીયર એનટીઆર જોવા નહોતો મળ્યો.
ત્યારબાદ એ અનુમાનો તેજ થઈ ગયા છે. રામચરણે તેની પ્રેગ્નન્ટ પત્ની ઉપાસના સાથે હૈદ્રાબાદમાં 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના બર્થડેમાં ઓસ્કારની જીતનો ઉત્સવ પણ ઉજવાયો હતો એટલે આ ડબલ સેલીબ્રેશન હતું. અહી પણ જુનીયર એનટીઆરને ન જોઈને લોકોના મનમાં સવાલ ઉઠયા હતા.
એક સૂત્રે ખુલાસો કર્યો હતો કે, બન્ને વચ્ચે અણબનાવ ગંભીર છે. ‘આરઆરઆર’નો અનુભવ ખાસ કરીને અમેરિકામાં ફિલ્મનું પ્રમોશન ઓસ્કાર સુધી લઈ ગયું, તેને એનટીઆર અને રામચરણને અલગ કરી દીધા હતા.
એનટીઆરને લાગ્યુ હતું કે, રામચરણ બધી લાઈમલાઈટ મેળવી રહ્યો છે. જો કે, તે ખોટો પણ નહોતો. આમેય રામચરણના જન્મ દિવસના જશ્નથી એનટીઆરની ગેરહાજરી એક સાફ સંકેત છે કે ‘ઘાવ’ ગંભીર છે.