► આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત-તામીલનાડુનું અનોખુ સંધાન રચાશે: વેપારની તકો વધશે: 25 હજારથી વધુ સૌરાષ્ટ્રીયન તમિલ ભાઈઓ-બહેનોના રજિસ્ટ્રેશન: પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્રવાસીઓને આવકારવા શિક્ષણમંત્રીનું આહવાન
રાજકોટ તા.1 : સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો આગામી તા.17 એપ્રિલથી યાત્રાધામ સોમનાથ ખાતે પ્રારંભ થશે તેમ રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવી ઉમેયુર્ં હતું કે આ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુનું આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે અનોખુ સંધાન રચાશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના મૂર્તિમંત થશે. તામિલનાડુના વિકાસમાં સૌરાષ્ટ્રવાસીઓનો મોટો ફાળો આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ પ્રભાસપાટણમાં યોજાશે. ત્યારબાદ રાજકોટ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે પણ કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ખાતે ટેક્ષટાઈલ સેમિનાર યોજાશે. તેઓએ જણાવ્યું હતું કે તમિલનાડુમાં 25થી 30 લાખ સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહ્યા છે.
મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્રવાસીઓને આહવાન કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સરકાર તો કામ કરી જ રહી છે પરંતુ લોક ભાગીદારી પણ તેમાં ખૂબ આવશ્યક છે. દાદા સોમનાથની ધરતી પર સૌરાષ્ટ્રના આપણા ભાઈઓ- બહેનોને આવકારવા, રાજા દ્વારકાદીશની ધરતીનો તેમને ફરી અનુભવ કરાવવા, રંગીલા રાજકોટવાસીઓ- સૌરાષ્ટ્રવાસીઓને તમિલથી આવતા સૌરાષ્ટ્રવાસી ભાઈઓ-બહેનોને પોતિકાપણાનો અનુભવ કરાવી તેમને પોતાના ઘરે આવ્યાનો અનુભવ કરાવવા અનુરોધ કર્યો હતો.
ઈમ્પીયરીયલ પેલેસ હોટલમાં યોજાયેલ આ પત્રકાર પરિષદમાં મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, અધિક કલેકટર કેતન ઠકકર, સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોષીપુરા, પૂર્વ ઉપકુલપતિ ડો. ગીરીશ ભીમાણી, રાજુભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.