ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વિશ્ર્વના ટોચના શક્તિશાળી સેનાની સાથે ઉભુ રહેવા લાગ્યુ છે અને હવે આત્મનિર્ભર પણ બનવા લાગ્યુ છે. હાલમાંજ ભારતીય વાયુસેના અને નૌકાદળની એક સંયુક્ત કવાયતમાં હવાઈદળના મીગ-29 કે લડાયક ફાઈટર વિમાનોએ સ્વદેશી વિમાની વાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતના ડેક પર રાત્રીના સમયે લેન્ડીંગ અને ટેક ઓફની કવાયત સફળતાપૂર્વક કરી હતી.
આઈએનએસ વિક્રાંત અરબ મહાસાગરમાં તેની રૂટીન સમુદ્રી સફરમાં હતું તે સમયે હવાઈ પરના મીગ-29 કે વિમાનોએ આ જહાજના ડેક પર રાત્રીના સફળ લેન્ડીંગ કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેને ‘તરતુ શહેર’ની ઉપમા આપી છે. તેના પર આ પ્રકારનું નાઈટ લેન્ડીંગ અત્યંત જોખમી અને કુનેહ માંગી લે તેવું છે પણ ભારતીય હવાઈદળના પાઈલોટ તો ખતરો કે ખિલાડી જેવા છે અને નૌકાદળના નેવીગેટર્સની ટીમે પણ કુશળતાપૂર્વક આ કામગીરીમાં સાથ આપ્યો હતો.
રૂા.23000 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ વિમાન વાહક યુદ્ધ જહાજ પર 30 ફાઈટર વિમાન તૈનાત કરી શકાય છે અને સમુદ્રમાં ઉંડે સુધી પહોંચીને પછી હવાઈ હુમલા માટે આ નાઈટ ફલાઈંગની બહું જરૂરી છે. અગાઉ તેજસ જેટ વિમાન જે સંપૂર્ણ સ્વદેશી છે તેનું પણ આ યુદ્ધ જહાજના ડેડ પર લેન્ડીંગ થયું હતું. આઈએમએમ વિક્રાંત એ એર ડીફેન્સ નેટવર્ક અને એન્ટીશીપ મિસાઈલથી સજજ છે.