વેરાવળ,તા.26 : વેરાવળમાં મોટી શાક માર્કેટ વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે પુ.જલારામ બાપાને 401 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. દર વર્ષે ભીમ અગિયારસ પર્વે કેરીઓ મંદિર - હવેલીમાં ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનંલ માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે.
દર વર્ષે વેરાવળમાં મોટી શાક માર્કેટ પાસે આવેલ જલારામ મંદિરે પણ ભીમ અગીયારસની આસપાસના દિવસોમાં આંબા મનોરથનું આયોજન કરાય છે. જે મુજબ જલારામ મંદિરે સવારે પૂ.જલારામ બાપાના ચરણોમાં 401 કિલો વિશ્વમાં પ્રખ્યાત એવી ગીરની કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ 401 કીલો કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં ગોઠવી અદભુત શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી દસ વાગ્યા સુધી આંબા મનોરથના શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ અદભુત શણગારના દર્શન કરી જલારામ બાપાના ભકતો ઘન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા. બાદ રાત્રીના મંદિર ખાતે ધુન-ભજનનો ધાર્મીક કાર્યક્રમ યોજાયેલ જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ મનોરથમાં ધરાયેલ 401 કિલો કેરી પ્રસાદીરૂપે જલારામ ભક્તોને આપવામાં આવનાર હોવાનું મંદિરના સેવકોએ જણાવેલ છે.