ચોંકાવનારો સર્વે: સાવરકુંડલામાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો

26 May 2023 01:00 PM
Amreli
  • ચોંકાવનારો સર્વે: સાવરકુંડલામાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો

રહેણાંક વિસ્તારમાં સ્કેલ મેન્યુફેકચરિંગ યુનિટોનાં ઝેરી કણોનો અનેક પરિવારો ભોગ બન્યા: તમામ ફેકટરીઓને શહેરથી દુર ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનાં હાઈકોર્ટના આદેશનો ઉલાળ્યો

સાવરકુંડલા,તા.26 : સાવરકુંડલા યુવાનનો ચોંકાવનારો સર્વે આરોગ્ય વિભાગ હજી કુંભકર્ણ નિંદ્રામાં, સાવરકુંડલામાં એકજ વિસ્તારમાં ભયજનક રીતે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરના શિવાજી નગર અને માધવાણી ની વાડી વિસ્તારમાં સેવાભાવી કાઠી યુવાન એડવોકેટ કનુ બાવકુભાઇ વરુ દ્વારા દરેક ને ઘેર ઘેર જઈ એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ચોકાવનારા પરિણામો સામે આવ્યા. આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, કેન્સરગ્રસ્ત નાની વયના છોકરાઓ ની સંખ્યા ઘણી છે. કેન્સર ને કારણે છેલ્લા થોડા વર્ષોમાં ઘણાં મૃત્યુ પણ પામ્યા છે. અમુક ઘર એવાં છે કે, ત્રણ ત્રણ સભ્યો કેન્સરને કારણે મોતને ભેટ્યા છે.આમાં થી અમુકને જુદા જુદા વ્યસન હતા પરંતુ સર્વે માં જાણવા મળ્યું છે કે,

મોટાભાગના દર્દીઓ સ્કેલ મેન્યુફેકચરિંગ યુનિટની આસપાસ રહે છે, અમુક એમાં કામ પણ કરે છે.આ રહેણાંક વિસ્તારમાં ખૂબજ મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રોનિક અને કાઉન્ટર વજન કાંટા ઉપરાંત જુની પરંપરાની વજન કરવાની દાંડીઓ બનાવતી ફેક્ટરી ઓ ધમધમે છે. આ તમામ પ્રકારનાં વજન કાંટા બનાવવામા જે જુદી જુદી પ્રોસેસ થાય છે, એલ્યુમિનિયમ ઓગાળવાની ભઠ્ઠીઓ છે,તેમાં એગ્રિકલચરમાં જે રાસાયણિક ઝેરી જંતુનાશક દવાઓ વપરાય છે, તે વપરાયેલી એલ્યુમિનિયમની બોટલો ગાળવામાં આવે છે જેનાંથી એકદમ બારીક ઝેરી કણો હવામાં ભળી ને, જે કારીગરો ઉપરાંત આજુબાજુના પડોશીઓ નાં શ્વાસોશ્વાસ મા ફેફસાં માં જાય છે. એકવાર એક ફેકટરીમાં આવી બોટલો ગાળતા સમયે, અમુક બોટલમાં કેમિકલ તળિયે રહી ગયેલ હશે જેનાંથી એકદમ તીવ્ર ઝેરી ગેસ થતાં ઘણાં કારીગરો બેભાન થઈ ગયા હતા.

સ્પ્રે કલર કરતા કારીગરો પાસે સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે નાં યુનિફોર્મ હોતા નથી. જાહેરમાં ખુલ્લામાં સ્પ્રે કલર, આ ઉપરાંત જાહેર માં ખુલ્લામાં વેલ્ડિંગ કામ પણ કોઈપણ ધારાધોરણ વગર ખુલ્લે આમ કરવાથી કામ કરતા કામદાર ને રજકણો શ્વાસોશ્વાસ મા જાય છે. લોકોમાં ચર્ચાતી વાતો કે આ કારણે જ શરદી, ઉધરસ, ટીબી નાં દર્દીઓ તો ઘેર ઘેર ઘણાં વર્ષોથી જોવા મળતા પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી કોઈ વ્યસન ન હોવા છતાં એકાએક કેન્સરનાં દરદીઓમાં ભયાનક ઉછાળો આવ્યો છે. સરકારી હોસ્પિટલનાં અધિકારીઓએ નિયમિત રીતે આવા દર્દીઓના સતત સંપર્ક મા રહી, તે વિસ્તારમાં દર મહિને સર્વે કરવાનો હોય પરંતુ આવું પ્રમાણિક પણે થતું નથી. ટેબલ ઉપર બેસીને ફોર્મ માં આંકડા લખાય જાય છે.

છેલ્લા દોઢ વર્ષમાં કેન્સરથી મૃત્યુ પામેલામાં, આ બધા જ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે. અને આખું ઘર જેની ઉપર નભતું હોય તે જ ખાટલે પડયો હોય એટલે આપણે વર્ણવી ન શકાય તેવી હાલત આ બધાની છે. સરકારી સહાય પણ ગરીબીની મજાક થતી હોય તેમ દર મહિને માત્ર ને માત્ર ઍક હજાર મળે છે. અભણ ને પણ સમજાય એવી બાબત છે કે આટલા મા શું આવે..!! કેટલાય દર્દીઓ એ જમીન વેચી, પ્લોટ વેચ્યા, ઘરેણાં વેચ્યા, વ્યાજે પૈસા મેળવ્યા પછી પણ પોતાના સભ્યને બચાવી શકાયો નથી. અત્રે ખાસ ઉલ્લેખનિય બાબત એ છે કે, ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી 10729/2000 જે તે સમયે સાવરકુંડલા નાં પાંચ જાગૃત નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલ.

જેના હાઇકોર્ટ ની ડિવિજન બેન્ચ દ્વારા રહેણાક વિસ્તારમાં કાર્યરત આવા તમામ પ્રકાર ની ફેકટરીઓ શહેરથી દૂર ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા હુકમ કરેલ. આ ઉપરાંત પી.જી.વી.સી.એલ.(ગુજરાત વિદ્યુત બોર્ડ) ને સ્પષ્ટ શબ્દોમાં તે ચુકાદાથી રહેણાંક વિસ્તારમાં એક પણ ઔદ્યોગિક વીજ કનેક્શન ન આપવા તાકીદ કરવામાં આવેલ. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલમાં પહોંચેલ ત્યાં પણ સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી દીધી હતી અને ગુજરાત હાઇકોર્ટ નો ચુકાદો માન્ય રાખી, અમરેલી કલેકટર ને આદેશ કરવામાં આવેલ કે વજન કાંટા બનાવતી તમામ ફેકટરીઓ ને શહેર બહાર ખસેડવામાં આવે. આપણા લોક તંત્રની કરુણતા એ છે કે, આ આદેશને બબ્બે દશકા વીતી જવા છતાં પરિસ્થિતી ઠેર ને ઠેર છે. પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશને ઘોળીને પી ગયા છે. આ બધા હવે ક્ધટેમન્ટ ઓફ ધ કોર્ટ ની રાહમાં છે. પરંતુ આડકતરી રીતે ભોગ નિર્દોષ લોકો બને છે.


Advertisement
Advertisement