જસદણમાં વિચરતી વિમુકત જાતિનાં લાભાર્થીઓના સહાય કેમ્પનું મંત્રી કુંવરજીભાઈના હસ્તે ઉદ્ઘાટન

26 May 2023 01:27 PM
Jasdan
  • જસદણમાં વિચરતી વિમુકત જાતિનાં લાભાર્થીઓના સહાય કેમ્પનું મંત્રી કુંવરજીભાઈના હસ્તે ઉદ્ઘાટન

અધિકારીઓએ અરજદારોને યોજનાની જાણકારી આપી

(ધર્મેશ કલ્યાણી) જસદણ,તા.26 : રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સહાય આપવા માટે યોજાયેલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ 2024 સુધી તમામ જરૂરિયાતમંદ નાગરિકોને "ઘરનું ઘર” મળે તેવો સંકલ્પ કર્યો છે. આને આ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે,

આ મહિનાની શરૂઆતમાં વિમુક્ત સમુદાયના આવાસ વિહોણા 167 લાભાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા ફાળવાયેલા 100 ચોરસ વારના પ્લોટમાં આવાસ બનાવવા માટેની સહાય પૂરી પાડવા આ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. મંત્રીશ્રીએ લાભાર્થીઓને ખૂટતા દસ્તાવેજો અને બેંક લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ મળેલી સહાય આવાસ માટે જ વપરાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ પ્રાંત અઘિકારી શ્રી રાજેશ આલએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ચાર બુથ દ્વારા આ કેમ્પમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની તમામ જરૂરિયાતમંદ લોકો અરજીઓ કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. વિચરતી જાતિના નાયબ નિયામકશ્રી જે.એ. બારોટે તમામ જરૂરિયાતમંદોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.

તાલુકા વિકાસ અધિકારીશ્રી જી. એમ. રાઠોડ, અશોકભાઈ મહેતા, ચંદુભાઈ કચ્છી, નીમેશભાઇ શુકલ, દીપુભાઈ ગીડા, વિજયભાઈ રાઠોડ સહિતના આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ અને જસદણ ઉપરાંત પોલારપર, લીલાપુર, ભાડલા, કમળાપુરના વિચરતી જાતિના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી જાતિઓના ઘર વિહોણા વ્યક્તિઓને મકાન માટે રૂ. 1.20 લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત અન્ય શૌચાલય, બાથરૂમ, મનરેગા અંતર્ગત અન્ય મળીને લગભગ દોઢ લાખ જેટલી સહાય મળવાપાત્ર છે. આ માટે જિલ્લાના નાયબ નિયામકશ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીથી લાભાર્થીઓ માહિતી મેળવી શકે છે તેમજ ઈ- સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઇન અરજી પણ કરી શકે છે.


Advertisement
Advertisement