(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26 : ખનીજ ચોરી અટકાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખનીજ ચોરી માટે વપરાતા વાહન નંબર વગરના ડમ્પર અને ખનીજના લીઝ ધારકો માટે કલેકટર દ્વારા હુકમ જાહેર કરી કેટલાક ફરજિયાત નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા માટે કલેકટર દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. જે આદેશમાં જણાવાયું છે કે, સુરેન્દ્રનગરમાં કુલ 407 લીઝ અને આશરે 510 સ્ટોક રજીસ્ટર આવેલા છે.
તેમજ આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનોની પણ ભરમાર છે જેનાથી અકસ્માત અને ગેરકાયદેસર ખનીજ ચોરીનો પણ ભય રહેલો છે. આ તમામ બાબતોને કારણે વાહન ચેકિંગ કરવા તેમજ તેને પકડવા મુશ્કેલ બની રહ્યા છે. જેના અનુસંધાને કલેકટર દ્વારા કાયમી જાહેરનામુ બહાર પાડી સી.સી.ટી.વી. કેમેરા અને હાઇરિઝોલ્યુશન કેમેરા તેમજ હાઇસ્પીડ ઈન્ટરનેટ ખનીજની લીઝ ધારકો માટે ફરજિયાત બનાવવામાં આવ્યા છે.જાહેરનામામાં જણાવાયું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ખનીજ સ્ટોક
અને ખનીજના વજન કાંટા પર માલિકે રોડ પર આવતા જતા માર્ગો પર નાઈટ વિઝન ધરાવતા હાઇડેફિનેશન કેમેરા લગાવવાના રહેશે. સાથે જ આ કેમેરા લાઈવ સ્ટ્રીમીંગ થાય તેવા હોવા જોઈએ અને તેનું રેકોર્ડિંગ 14 દિવસ સુધી રાખવાનું રહશે. ઉપરાંત આ કેમેરાના આ.ડી. પાસવર્ડ પણ ભુસ્તરશાસ્ત્રી અને ખનીજ ખાતાની કચેરીને આપવાના રહેશે. જેથી જરૂર પડ્યે ખનીજ ચોરી અટકાવવા અને ગેરકાનૂની પ્રવૃતિ સમયે તેની તપાસ અને પુરાવા માટે ઉપયોગમાં લઈ શકાય.