સુરત,તા.14
કારની મોડી ડીલીવરીથી સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન બદલ 4.97 લાખના વળતરનો દાવો કરતા અને એકાદ વર્ષ ચાલેલા કાનુની જંગમાં નવસારીના ગ્રાહકને રૂા.35નુ વળતર મળ્યુ છે.
નવસારીના ગ્રાહક તકરાર નિવારણ પંચે ફરિયાદી કુલીન સીટવાલાની દલીલ આંશિક રીતે ગ્રાહ્ય રાખી હતી અને કાર વિક્રેતાને રૂા.5000ની બુકીંગ રકમ પર 9 ટકા વ્યાજ વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.
ગ્રાહક પંચે ચુકાદામાં એવી નોંધ કરી હતી કે, કારની ડીલીવરીમાં વિક્રેતાએ ભલે 135 દિવસનુ મોડુ કર્યુ હોય છતાં ફરિયાદીએ બુકીંગ રદ કરાવ્યુ ન હતું એટલું જ નહીં ઉત્સાહપૂર્વક જ ડીલીવરી લીધી હતી. આ બાબતનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.
કેસની વિગતો મુજબ કુલીન સીટવાલાએ 2 જૂન 2022ના રોજ 12.50 લાખમાં કાર બુક કરાવી હતી. 135 દિવસમાં ડીલીવરીનું જણાવાયુ હતું પરંતુ ડીલીવરીમાં બીજા 28 દિવસનું મોડુ થયુ હતું તેને પગલે ગ્રાહક પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. કાર મોડી મળવાથી સામાજીક અને નાણાકીય નુકશાન થયાની દલીલ કરી હતી અને વળતર પેટે 4.97 લાખનો દાવો કર્યો હતો. માનસિક ટેરેસમેન્ટ પેટે 1.50, મોડી ડીલીવરી પેટે 1.50 લાખ તથા લોન ખર્ચ પેટે 47000ના વળતરની માંગ કરવામાં આવી હતી.
કાર વિક્રેતા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે કોવિડને કારણે સપ્લાયને ફટકો હતો. ગ્રાહકને 135 દિવસનો ડીલીવરી સમય ‘સંભવિત’ હોવાનું બુકીંગ વખતે જ સ્પષ્ટ કરાયુ હતું. તેઓએ ફરિયાદ દફકર્યાના ત્રણ દિવસમાં જ ડીલીવરી કરી દેવામાં આવી હતી એટલું જ નહી ડીલીવરી લેતી વખતે ગ્રાહકે ‘ફીડબેક’ પણ સારા આપ્યા હતા.
વિક્રેતા સામે કોઈ વાંધો પણ લીધો ન હતો. ગ્રાહકપંચે નોંધ્યું કે, નિર્ધારિત કરતા 28 દિવસ બાદ ડીલીવરી કરવામાં આવી હોવાથી ગ્રાહકને વળતર આપવુ પડે. 5000ની બુકીંગ રકમ પર 28 દિવસનું 9 ટકા લેખે સાદુ વ્યાજ આપવા હુકમ કર્યો હતો. આ રકમ રૂા.35 થાય છે.