► વિપક્ષો બેબાકળા; સરકાર કોઈ છુપો એજન્ડા પાર પાડશે તેવો ભય: 75 વર્ષની સંસદીય કાર્યવાહીને અંજલી આપશે વડાપ્રધાન
નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા અને 2024ની લોકસભા ચૂંટણીના પુર્વેજ દેશમાં હવે અત્યંત ગરમ બનતા જતા રાષ્ટ્રીય-પક્ષીય અને ક્ષેત્રીય રાજકારણ વચ્ચે આજથી સંસદનું પાંચ દિવસનું ખાસ સત્ર જબરુ સસ્પેન્સ ભર્યુ બની રહેશે. એક તરફ સરકારે ચુંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિતના ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ મુદેની કમીટીમાંથી ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાની બાદબાકી સહિતના આઠ ખરડા રજુ કરશે તે નિશ્ચીત બન્યુ છે અને આવતીકાલે ગણેશચતુર્થીથી સંસદ નવા ભવનમાં બેસશે
તે પુર્વે આજે 11 વાગ્યે સંસદના બન્ને ગૃહોની બેઠક વર્તમાન ઈમારતમાં બેસશે અને પ્રથમ 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આજે સંસદની જૂની ઈમારતને અલવિદા કહેતા એક ખાસ બેઠકનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનથી પ્રારંભ થશે અને તેમાં આઝાદીના 75 વર્ષ અને તેની સાથે જોડાયેલી સંસદીય યાદો દેશની સંસદે જે ઐતિહાસિક ક્ષણો પસાર કરી છે તેને યાદ કરી મોદી અંજલી આપશે અને તેમાં વિપક્ષને પણ સંબોધનની તક મળશે કે કેમ તેના પર સૌની નજર છે
તો વિપક્ષને ડર છે કે સરકાર તેનો કોઈ છુપો એજન્ડા પાર પાડવા જઈ રહી છે અને તેથી સાવધ છે. સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં એજન્ડા તમામ પક્ષોને આપી દેવાયો છે. આમ તેઓએ સસ્પેન્સ વધાર્યુ છે હવે વિપક્ષોને સરકારની કોઈ ચાલનો તત્કાલ જ જવાબ આપવો પડશે તો કાલથી નવા ભવનમાં સંસદ શિફટ થઈ જશે. શ્રી મોદી તેમના સંબોધનને આઝાદીના 75 વર્ષ અને તેની સાથેની સંસદીય યાદો પુરતી જ મર્યાદીત રાખે છે કે કોઈ મોટું એલાન કરશે તેના પર પણ નજર છે.