(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 18
ભાવનગર નજીક નિરમાના પાટીયા પાસે રસ્તામાં પડેલા ટ્રક સાથે લકઝરી બસ ધડાકાભેર અથડાતા બેનાં મોત નિપજયા છે. જયારે 10 મુસાફરોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે.
અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીક નિરમાનાં પાટીયા પાસે મોડી રાત્રીનાં 2.30 કલાકે રસ્તામાં બંધ હાલતમાં ઉભેલા ટ્રક સાથે પાછળથી પુરઝડપે ધસી આવેલ લકઝરી બસ ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં નારણભાઇ નાગજીભાઇ સરધારા પટેલ (ઉ.વ.51) રહે. કાનકીયા તા. ગીરગઢડા તથા હંસાબેન માધાભાઇ જેઠવા (ઉ.વ.45) રહે. ઉનાનાં ગંભીર ઇજા થતાં કરૂણ મોત નિપજયા હતા.
જયારે અન્ય 10 મુસાફરોને નાની-મોટી ઇજા થતાં 108 ઇમરજન્સીમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં વેળાવદર-ભાલ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.