(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.18 : રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વજા પૂજા, આયુષ્ય મંત્રજાપ, મહાદેવની મહાપૂજા, 73 કિલો લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે પૂજા સામગ્રી અને વસ્ત્ર પરિધાન અર્પણ કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની પૂજામાં કરવામાં આવ્યો હતો.
આ અવસરે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મંદિરના પૂજારીઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા યશ આપનારી અને મનોકામના પૂર્ણ કરવાવાળી કહેવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રીના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા
દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 1 કિલોનો એક એવા 73 લાડુ ભોગ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ લાડુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને, દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાઓને તેમજ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા ખાતેના ગૌધનને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યા હતા.