રાજકોટ,તા.18 : જૈન દર્શનમાં પશ્ચયાતાપ - પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના પાપને ધિકારવામા આવે છે. જૈન દર્શનમાં અનેકાધિક દ્રષ્ટાંતો આવે છે છે કે જેઓએ પોતાના જીવનમાં ભયંકર પાપો કર્યા હતા,પરંતુ પાપથી પાછા હટી તેનું પ્રતિક્રમણ કરી પરમાત્મા પણ બની ગયાં છે.હિંદુ ધર્મમાં પણ વાલીયા લૂટારામાંથી વાલ્મીકી ઋષી બની ગયાનો દાખલો આવે છે.જૈન ધર્મ દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમા માને છે.
પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સર્વ જીવોને હ્રદયપૂવેક ખમાવવાના... ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની. આત્માની મિથ્યા માન્યતા, વૃતિ - પ્રવૃતિમા સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી. પ્રતિક્રમણનો મહિમા બતાવતા ચિંતકો લખે છે કે ત્રાજવાના એક છાબડામાં અનેક પુસ્તકો મૂકી દયો અને બીજામા માત્ર પ્રતિક્રમણ સૂત્ર રાખશો તો પ્રતિક્રમણ સૂત્ર રાખેલુ પલ્લુ નમી જશે કારણકે...પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી,વેર - ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે.
તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો. જૈન દર્શન કહે છે પ્રમાદની પથારીમાં પોઢેલા પેલા શૈલક રાજર્ષી પણ પ્રતિક્રમણના નિમિત્તથી જાગૃત થઈ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરે છે.પ્રતિક્રમણ પણ પરમાત્મામય બની કરવામાં આવે તો જીવનું પરીભ્રમણ અટક્યા વગર રહે નહીં.ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા વિ ખમંતુ મે..મિત્તિ મે સવ્વ ભૂએસુ,વેર મજ્જં ન કેણ ઈં.અર્થાત્ જગતના સર્વ જીવોને હું ખમાવુ છું,મને ક્ષમા આપજો...વિશ્વના દરેક જીવો સાથે મારે મિત્રતા છે,કોઈની સાથે વેર ભાવ નથી.
સંકલન મનોજડેલીવાળા રાજકોટ