વેરાવળ,તા.19
સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તા.16થી તા.29 દરમિયાન અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે.
ગીર સોમનાથના બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ અમૃત કળશ યાત્રામાં જોડાયા હતાં.માતૃભૂમિની માટી આપણને એકતાંતણે અને એકસૂત્રતાથી બાંધી રાખે છે. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણાં વીરોને જન્મ આપ્યો છે. રાષ્ટ્રહિત માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આ વીરો પ્રત્યે લાગણી દર્શાવવા અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા બાદલપરા ગામેથી ભવ્ય રીતે અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જાતે કળશ લઈ જતું ટ્રેકટર ચલાવ્યું હતું અને પોતાની સહભાગીદારી નોંધાવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત તમામ બાદલપરાના રહેવાસીઓએ માતૃભૂમિની માટી કળશમાં એકઠી કરી સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ યાત્રા નિમિત્તે સમગ્ર લોકો દેશભક્તિના રંગે રંગાયા હતાં.