(વિપુલ હિરાણી) ભાવનગર, તા.21
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ઘણા કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી અને તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ થશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ફલાયઓવરનુ કામ લાંબા સમયથી ચાલી રહ્યુ છે અને હજુ 40 ટકા કામ બાકી છે. આ કામનુ મનપાના અધિકારી-પદાધિકારીઓએ નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.
ભાવનગર શહેરમાં ઘણા સમયથી ફલાયઓવર બની રહ્યો છે અને તેની એકવાર સમય મર્યાદામાં પણ પૂર્ણ થઈ ગઈ છે તેથી સમય મર્યાદા વધારવામાં આવી છે. ફલાયઓવરનુ 60 ટકા કામ પૂર્ણ થયુ છે અને હજુ 40 ટકા કામ બાકી છે. આગામી માર્ચ માસમાં ફલાયઓવરના કામની સમય મર્યાદા પૂર્ણ થાય છે.
મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ, મનપાના કમિશનર, સીટી એન્જીનીયર, કાર્યપાલક ઈજનેર, અમઈ, પીએમસી તથા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.નાં ડીરેકટરની સાથે રહી પ્રોગ્રેસ બાબતે સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યુ હતું. સ્થળ નિરીક્ષણ દરમિયાન પદાધિકારી તથા કમિશનર દ્વારા કામમાં ઝડપ વધારવા સુચના આપવામાં આવી હતી તેમજ સદર કામે સ્ટ્રક્ચરના ડ્રોઈંગ માર્ગ અને મકાન વિભાગ ( ડીઝાઇન સર્કલ), ગાંધીનગરથી નિયત સમયમર્યાદામાં ડ્રોઈંગની મંજુરી મળે તે માટે પીએમસીને સતત ફોલઅપ લેવા માટે કડક સુચના આપવામાં આવી હતી.
ઉપરાંત બોરતળાવ જંકશનથી દેસાઈનગર તરફ સુધી ફ્લાયઓવરની નીચે તમામ જગ્યા ખુલ્લી કરાવી ટ્રાફિકની અવરજવર થઇ તે રીતે રોડનું તમામ કામ પૂર્ણ કરાવવા સુચના આપવામાં આવી હતી. આ કામ ધીમીગતીએ ચાલતા વાહન ચાલકો પેરશાન છે. આ રોડ પર રોજ ટ્રાફીકજામના દર્શ્યો જોવા મળતા હોય છે ત્યારે મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી છે. આ અંગે મનપાના કમિશનરે જણાવ્યુ હતુ કે, આર એન્ડ બીની ડિઝાઈન માટે મંજુરી લેવાની હોવાથી મોડુ થઈ રહ્યુ છે. આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થશે કે નહી ? તેની રાહ જોવી જ રહી.