જામનગર તા.21:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ રણુંજા રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોય લોકોની સલામતી અને ટ્રાફીકનું નિયમન જળવવાના હેતુથી રણુંજા જવા અને આવવા માટેનો રસ્તો એક માર્ગીય કરવા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ આગામી તા.24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન કાલાવડથી રણુંજા જવા માટે કાલાવડથી રણુંજાનો રસ્તો બંધ કરવામાં આવશે માત્ર રણુંજા મેળામાંથી કાલાવડ આવવા માટે રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેમજ રણુંજાથી હરિપર(ખંઢેરા) આવવા માટેનો રસ્તો બંધ કરવામાં આવશે ફક્ત હરિપરથી રણુંજા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે.
સરકારી વાહનો,પોલીસના વાહનો, ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.