નવી દિલ્હી તા.22 : વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ હાઈ બ્લડ પ્રેસરનાં દુનિયાભરમાં પડેલી અસર પર પહેલો રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે દર પાંચમાંથી ચાર વ્યકિતનો પૂરેપુરો ઈલાજ નથી થતો, જયારે હાઈ બ્લડ પ્રેસરથી દુનિયામાં દર ત્રણમાંથી એક એટલે કે દર ત્રીજો માણસ પીડિત છે.
રિપોર્ટમાં એ પણ દર્શાવાયું છે કે જો દેશમાં સ્વાસ્થ્ય કાર્યક્રમોને ઝડપથી વધારવામાં આવે તો વર્ષ 2003 અને વર્ષ 2050 દરમ્યાન 7.6 કરોડ મોતને રોકી શકાશે. અસરકારક સારવારની મદદથી સ્ટ્રોકથી 12 કરોડ, હાર્ટએટેકથી 7.9 કરોડ લોકોના મોત પર લગામ લગાવી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ, કયુબા, ભારત અને શ્રીલંકા સહિત 40 દેશોથી વધુ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોએ સ્વાસ્થ્ય કાર્યક્રમો લાગુ કરીને હાઈબ્લડ પ્રેસરનાં કેસોમાં સમયની સાથે કામ કર્યું છે.
હાઈ બ્લડ પ્રેસરથી પીડિત લોકોની સંખ્યા 1990 અને 2019 દરમ્યાન બેગણી થઈ ગઈ. આ સંખ્યા 65 કરોડમાંથી 1.3 અબજે પહોંચી ગઈ હતી. જયારે વિશ્વ સ્તરે હાઈ બ્લડ પ્રેસરથી પીડીત લગભગ અડધા લોકો હોલમાં પોતાની હાઈ બ્લડ પ્રેસરની બિમારીથી અજાણ છે. ધી લાન્સેટના અનુસાર ભારતમાં મૃત્યુ અને વિકલાંગતા માટે હાઈ બ્લડ પ્રેસર સૌથી મહત્વનું જોખમકારક છે.
હાઈબ્લડ પ્રેસરનું કારણ
વધતી વય અને વારસાગત, વધુ પડતુ મીઠા (નમક)નું સેવન, શારીરીક રીતે સક્રિય ન હોવુ વધુ પ્રમાણમાં શરાબ સેવન, ખાન-પાનથી સ્થુળતામાં વધારો જેવા અનેક કારણો હાઈબીપીનાં છે.
હાઈ બ્લડ પ્રેસરથી થતી સમસ્યા
હાઈબીપીનાં કારણે હૃદયરોગનો હુમલો, હાર્ટફેલ, કિડનીને નુકશાન, જેવી અનેક સમસ્યા પેદા થઈ શકે છે. ડબલ્યુએચઓ અનુસાર એક સ્વસ્થ વ્યકિતનું બ્લડ પ્રેસર 140/190 હોવુ જોઈએ.
આ ફેરફાર સહાયરૂપ
ડબલ્યુએચઓનાં અનુસાર જીવન શૈલીમાં ફેરફાર, સ્વસ્થ ખોરાક, તમાકુનાં વ્યસનથી મુકિત, હાઈ બ્લડ પ્રેસર ઘટાડવામાં સહાયરૂપ છે. આ સિવાય આ બીમારીની ઝડપથી જાણ થવાથી અસરકારક નિરાકરણ થાય છે.