રાજકોટની જેલમાંથી જામીન-પેરોલ પર મુકત 296 કેદીઓ ફરાર

25 September 2023 10:25 AM
Ahmedabad Gujarat Rajkot
  • રાજકોટની જેલમાંથી જામીન-પેરોલ પર મુકત 296 કેદીઓ ફરાર

ગુજરાતમાં 1379 કેદીઓ જેલમાં પરત ફર્યા નથી

અમદાવાદ,તા.25
વિવિધ ગુનામાં જેલસજા ભોગવતા કેદીઓ વચગાળાના જામીન કે પેરોલ ફર્લો મેળવ્યા બાદ ફરાર થઈ જતા હોવાના કિસ્સા સતત વધી રહ્યા છે. આવા 1379 કેદી વચગાળાની રાહત મેળવ્યા બાદ જેલમાં પાછા ફર્યા નથી તેવો આંકડાકીય ખુલાસો થયો છે.

ગુજરાતમાં જુદી-જુદી 27 જેલ છે અમદાવાદની સૌથી મોટી સાબરમતી જેલમાંથી 740 કેદી વચગાળાની રાહત મેળવીને બહાર નીકળ્યા બાદ પરત ફર્યા નથી. રાજકોટ જેલમાંના આવા કેદીઓની સંખ્યા 296 છે.

નેશનલ પ્રિઝન (જેલ) ઈન્ફર્મેશન પોર્ટલ પરની માહિતી પ્રમાણે 784 કેદીઓ વચગાળાના જામીન મેળવ્યા બાદ પાછા ફર્યા નથી જયારે 290 કેદીઓ પેરોલ ફર્લો પર છુટયા બાદ પરત ગયા નથી.

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું કે ભાગેડુ કેદીઓને પકડવા માટે ખાસ પેરોલ અને ફર્લો સ્કવોડ તમામ જીલ્લાઓમાં કાર્યરત છે. અનેકને પકડવામાં આવ્યા બે બાકીનાને પણ ઝબ્બે કરવા સતત પ્રયાસો થાય છે.જેલતંત્ર તથા પોલીસ રેકોર્ડ વચ્ચે અમુક વખત વિસંગતતા હોય છે. એટલે ફરાર કેદી પકડાવા છતાં રેકોર્ડમાં ભાગેડુ જ દર્શાવાય છે.

અમદાવાદમાં વર્ષ 2003 નાં વેલેન્ટાઈન દિને જ પત્નિની હત્યા કરનાર તરૂણ જીનારાજ તકનો લાભ લઈને ફરાર થયા બાદ 15 વર્ષે ફરી ઝડપાયો છે. તેને પગલે ભાગેડુ કેદીઓ પર તંત્રનું ધ્યાન ફોકસ થયુ છે.જેલવાસ દરમ્યાન તરૂણ 18 વખત બહાર નીકળ્યો હતો. બેંગ્લોરમાં નવા જીવનની શરૂઆત પણ કરી દીધી હતી. પુન:ધરપકડ બાદ બિમાર માતાની અરજી ફગાવીને એવી ટીપ્પણી કરી હતી કે 15 વર્ષ ફરાર રહ્યો ત્યારે માતાની તબીયતની કોઈ ચિંતા નહિં કર્યાનું જણાય છે.

વચગાળાનાં જામીન માટે તેણે 9 અરજી કરી હતી અને ત્રણ વખત મંજુરી મળી હતી. 4 ઓગસ્ટે તેની પ્રોવિડન્ટ ફંડના નાણાં ઉપાડવાની પ્રક્રિયા અરજી મંજુરી થઈ હતી.19 ઓગસ્ટે પરત ફરવાનું હતું. પરંતુ પરત આવ્યો નથી વિદેશ નાસી ગયો હોવાની શંકા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement