અમદાવાદ, તા. 25
અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખેે, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે. આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો અને સંગઠન નિમણૂક પર ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાને લોકસભાની બે થી ત્રણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે જ્યાં તે લોકસભા બેઠકોમાં તાત્કાલીક પ્રવાસ કરશે અને સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની આગામી ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજીક સમિકરણો અને સ્થાનિક પ્રશ્નો, પક્ષના કાર્યક્રમો, પ્રજાકીય આંદોલનો અંગે ગહન પ્રવાસ કરશે.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને સંપૂર્ણ અહેવાલ આપશે. રાજ્યની હાલની સ્થિતી અને લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ તેમના સૂચનો રજૂ કર્યા હતા.
ગુજરાતના કોંગ્રેસ સંગઠનના 33 જીલ્લા અને 8 શહેરોના પ્રમુખે સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકમાં માર્ગદર્શન આપતા પ્રભારી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી 4000 કિ.મી. જેટલી પદયાત્રા કરીને ઐતિહાસીક રેકર્ડ બનાવ્યો છે. આપ સૌ શહેર-જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઈને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવંતુ બનાવશો તો સફળતા નિશ્ચીત મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. હાથ સે હાથ જોડો અભિયાનની સભ્ય નોંધણી ઝુંબેશ માટે સોંપાયેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવી જરૂરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
કયા નેતાને કઇ બેઠકની જવાબદારી
► શક્તિસિંહ ગોહિલ - છોટા ઉદેપુર, ભરૂચ
► જગદીશભાઈ ઠાકોર - અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા,
► સિધ્ધાર્થભાઈ પટેલ - ખેડા, આણંદ, મહેસાણા
► અર્જુનભાઈ મોઢવાડીયા - બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, કચ્છ
► ભરતસિંહ સોલંકી - પંચમહાલ, વડોદરા, નવસારી, સુરત
► અમિતભાઈ ચાવડા - ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર
► પરેશભાઈ ધાનાણી - ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગર
► સુખરામભાઈ રાઠવા - દાહોદ, બારડોલી, વલસાડ
► (ડો. મનિષ એમ. દોશી) મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા