રાજકોટ, તા.25 : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન ’વંદે ભારત’ એક્સપ્રેસનો શુભારંભ કરાયો છે. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી ’વંદે ભારત’ ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે રાજ્યના મંત્રી સર્વ રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, તથા મુળુભાઈ બેરાના વરદહસ્તે ફૂલોથી ટ્રેનનું અભિવાદન કરાયું હતું. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી ’વંદે ભારત’ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું છે,
જે કે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ’મેક ઈન ઈન્ડિયા’ તથા ’આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે ’વંદે ભારત’ ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ છે, જેનો આનંદ વ્યક્ત કરું છું. પ્રવાસન તથા આબોહવા પરિવર્તન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકને સૌ પ્રથમ ’વંદે ભારત’ ટ્રેન મળી છે, જેના થકી જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે.
રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી ’વંદે ભારત’ ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આસિસ્ટન્ટ ડિવિઝન રેલવે મેનેજર જી. પી. સૈનીએ સૌરાષ્ટ્રને પહેલી ’વંદે ભારત’ ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે. આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે.
આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ત્યારે રેલવે ગ્રાહકો માટે આ ટ્રેન ઉપયોગી બનશે, તેવી આશા છે. એ.સી. ચેર કારનું ભાડુ રૂા. 810 અને એકઝીકયુટીવ ચેર કારનું ભાડુ રૂા.1510 રાજકોટ- અમદાવાદનું રહેશે. જંકશન રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ’મન કી બાત’ કાર્યક્રમ તેમજ ’વંદે ભારત’ ટ્રેનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મહાનુભવોને ઔષધીય રોપાં અને પુષ્પગુચ્છ આપીને આવકારાયા હતાં.
તેમજ કાર્યક્રમમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં. આ તકે સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ’વંદે ભારત’ ટ્રેનમાં જનતા સાથે મુસાફરીનો લ્હાવો લીધો હતો. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, અને દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ચીફ ટિકિટ ઇન્સપેક્ટર સી. બી. જાડેજા, અગ્રણી મુકેશભાઈ દોશીના સહિતના આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત સહિત 11 રાજયોમાં વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી
11 રાજયોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચીમ બંગાળ, કેરળ, ઓડિશા, અને ઝારખંડનો સમાવેશ
નવીદિલ્હી,તા.25 : ગુજરાત સહિતના 11 રાજ્યોમાં ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડતી નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવતા પહેલાં વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અગાઉ ભારતીય રેલેવેના આધુનિકીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને હવે તેમની સરકાર રેલવેની કાયાપલટ માટે કામ કરી રહી છે.
આ નવ ટ્રેનો 11 રાજ્યોમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ રાજ્યમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડનો સમાવેશ થાય છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ઝડપ અને વ્યાપ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે. વંદે ભારત ટ્રેનોની લોકપ્રિયતા સતત વધી રહી છે અને આશરે 1,11,00,000થી વધુ મુસાફરો તેમાં મુસાફરી કરી ચૂક્યા છે. વડાપ્રધાને નોંધ્યું હતું કે 25 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે અને હવે નવ વધુ ઉમેરવામાં આવી છે. આ ટ્રેનો દેશના તમામ ભાગોને જોડશે તે દિવસો હવે દૂર નથી.
ભારતીય રેલ્વે ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સૌથી ભરોસાપાત્ર હમસફર છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે તમામ ભારતીયોને નવા ભારતની સિદ્ધિઓ પર ગર્વ છે અને ચંદ્રયાન-3ની સફળતાને કારણે સામાન્ય વ્યક્તિની અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ છે. G20 સમિટની સફળતાએ વિશ્વાસ અપાવ્યો છે કે ભારતમાં લોકશાહી, વસ્તી અને વિવિધતાની શક્તિ છે.આ વંદે ભારત ટ્રેનો ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ (રેનિગુંટા થઈને); પટના-હાવડા, કાસરગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવડા, અને જામનગર-અમદાવાદનો સમાવેશ થાય છે.
જામનગર-અમદાવાદ વંદે ભારત સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનના 332 કિ.મી.ની મુસાફરીમાં આઠ સ્ટોપેજ
અમદાવાદ જવા બુધવાર સિવાયના તમામ દિવસોમાં ટ્રેન દોડશે: અન્ય ટ્રેનોની સરખામણીમાં બે કલાકના સમયની બચત
રાજકોટ તા.25 : ગુજરાતમાં ત્રીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન ગઈકાલ રવિવારથી રૂટ પર દોડતી થઈ છે. જામનગર-અમદાવાદ વચ્ચે શરૂ થયેલ સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન આરામદાયક મુસાફરી સાથે સમયનો બચાવ કરે છે.
જામનગર-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત સુપર ફાસ્ટ ટ્રેનને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, સાબરમતી સ્ટોપ આપવામાં આવ્યો છે. આ ટ્રેન સવારે 5-30 કલાકે જામનગરથી ઉપડી 10-10 કલાકે અમદાવાદ પહોંચશે. સાંજે 5-55 કલાકે અમદાવાદથી ઉપડી 10-35 કલાકે જામનગર પરત પહોંચશે. 332 કિ.મી. રૂટની આ ટ્રેન અમદાવાદ જવામાં બુધવારે અને આવવામાં દર મંગળવાર સિવાયના તમામ દિવસોમાં દોડશે. આ ટ્રેન અન્ય ટ્રેનોની સરખામણીમાં બે કલાક વહેલી પહોંચાડશે. મુસાફરોનો બે કલાકના સમયની બચત થશે.