ખંભાળિયા,તા.25 : ખંભાળિયા નજીક આવેલા ખામનાથ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા પાણીના બોરની પાઇપલાઇન રીપેર કરવા માટે પ્લમ્બિંગ અંગેની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અહીં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતીક મુકેશભાઈ જોશી નામના 35 વર્ષના વિપ્ર યુવાન પાસે આવી અને ચંદ્રસિંહ ફતેસિંહ જાડેજા તથા મુન્નો ઉર્ફે પ્રભાતસિંહ રણજીતસિંહ જાડેજા નામના બે શખ્સોએ આ કામ બંધ કરાવી અને તમો મંદિરના પૈસા પચાવી ગયા છો તેમ કહી, ટ્રસ્ટીઓના ટાંટિયા ભાંગી નાખવા છે, પતાવી દેવા છે તેમ કહીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્રતિકભાઈ જોશી દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનને ધમકી
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બબાભા સુમણીયા નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે રવિવારે ગોમતીઘાટ ખાતે હતા, ત્યારે જીતુભા ટપુભા સુમણીયા, પ્રતાપભા બબાભા જામ અને અનિલભા સુમણીયા નામના ત્રણ શખ્સોએ આવી અને લાકડી વડે તેમને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા તેમના પુત્રને જાન મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આજથી આશરે ત્રણ-ચાર માસ પૂર્વે ફરિયાદી તથા આરોપીના પત્નીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.