♦ રાજકોટમાં પોષ્ટ સહિતના વિભાગોમાં 151 ઉમેદવારોને કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાના હસ્તે નિમણુંક પત્રો
રાજકોટ: આજે નવા ભારતનું નિર્માણ થઈ ગયું છે અને તેમાં યુવાનોનું યોગદાન એ કમાલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાં 46 સ્થળોએ યોજાયેલ રોજગાર સેવાને પાંચ ‘એમ’નો મંત્ર આપ્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે 2947 સુધીમાં દેશને વિકસીત બનાવવા માટે માઈન્ડ સેટ- મોનેટરીકા મીશન મોડ ઈમ્લીમેન્ટેશન અને ખાસ આર્ટીસીએન્ટ એ મહત્વનું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા રોજગાર મેળાઓ સમગ્ર દેશમાં 46 સ્થળોએ યોજાયા હતા. જેમાં આશરે 51000 ઉમેદવારોને સંબંધિત સરકારી વિભાગોમાં જોડાવા માટેના નિમણૂક પત્રો અપાયા હતા. જે અન્વયે કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં રાજકોટ પ્રાદેશિક પોસ્ટ વિભાગ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 151 ઉમેદવારોને કેન્દ્ર સરકારના વિવિધ સરકારી વિભાગોમાં સેવાના નિમણૂક પત્રો એનાયત થયા હતા.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા 9 મી કડીના રોજગાર મેળામાં મેરિટના આધારે પારદર્શક રીતે ઓનલાઈન ભરતી પ્રકિયા કરાઈ રહી છે, જેનું શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.”
રોજગાર મેળાના યજમાન પોસ્ટ વિભાગ વિશે મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, "દેશભરમાં પોસ્ટની સેવા ઉત્તમ રીતે કાર્યરત છે. ટપાલી માત્ર 50 પેસામાં પોસ્ટ કાર્ડ ઘરે-ઘરે પહોંચાડે છે. તેના કાયદા પણ વડાપ્રધાનએ સરળ બનાવ્યા છે. હવે પાસપોર્ટ પણ પોસ્ટ વિભાગ ખાતે સરળતાથી બની જાય છે.”
નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છા આપતા મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારની નવી સરકારમાં એવા તબક્કે આપને અવસર મળ્યો છે જ્યારે ભારત એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભર્યુ છે. ત્યારે ફરજ નિષ્ઠાપૂર્વક તો બજાવશો જ. પરંતુ વર્ષમાં એક વાર એવું કામ કરો જે તમને ગમતું હોય. ‘સ્વાંત: સુખાય’ હોય. આવા કાર્યનું ઉદાહરણ જોઇએ તો તત્કાલીન અમરેલીના કલેકટર વી.એસ.ગઢવીએ લાઠીમાં બનાવેલું કવિ કલાપીનું સ્મારક એ દેશનું સૌપ્રથમ કવિ સ્મારક બન્યું છે. જે ‘સ્વાંત: સુખાય’ કાર્ય છે.”
મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં પોસ્ટ માસ્ટર જનરલશ્રી બી.એલ સોનલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરિયા અને મોહનભાઈ કુંડારીયા, એઇમ્સના ડાયરેક્ટર કર્નલ ડો. સી.ડી.એચ કટોચ, ઇન્કમ ટેક્સના ચીફ કમિશનર જ્યંત કુમાર, આસિસ્ટન્ટ ડિરેક્ટર પોસ્ટલ સર્વિસ એ.કે.પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી નોકરી હજારો પરિવારને આર્થિક સલામતી આપશે
રાજકોટ એસ.બી.આઈ.માં જોબ મેળવનાર 22 વર્ષીય યુવતીએ સલામત નોકરી મેળવ્યાનો વ્યકત કર્યો રાજીપો
મોરબીની 25 વર્ષીય પાયલ ખમરોટિયાને પોસ્ટમાં કેન્દ્ર સરકારની નોકરીનો આદેશ મળતા આનંદ વ્યક્ત કરતા કહે છે કે, "લગ્ન બાદ મેં મારા પરિવારના સહકારથી પોસ્ટમાં ભરતી આવતા પરિક્ષા આપી.
જેમાં મારી પસંદગી થતા મને કચ્છના પાંધ્રોમાં "એબીપી પોસ્ટ” પદ ઉપર સરકારી નોકરી મળી છે. જેનાથી મારા જેવા અનેક પરિવારોને પણ આર્થિક સલામતી મળી છે. આ ભરતી માત્ર ધો.10ના આધારે મળી છે. મારા જેવા હજારો યુવાનોને મેરિટના આધારે પારદર્શક રીતે ઓનલાઈન ભરતી કરાઈ રહી છે. જે માટે અમે વડાપ્રધાનના આભારી છીએ કે અમને રોજગારી આપીને સુવર્ણ કારકિર્દી બનાવી શકીશું.”
22 વર્ષીય જુલી ચૌધરીને એસ.બી.આઈ.માં જુનિયર એસોસિયેટ તરીકેનો નિમણુંક પત્ર મળ્યો હતો. તેણીએ અમદાવાદમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે નિમણુંક પત્ર મેળવતા આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારી નોકરી મારફતે સરકારમાં સેવાના મહત્વના ભાગ એવા બેન્કિંગ સેકટર ખાતે નોકરી મળતા પોતાની આવડતને લોક સેવામાં ઉજાગર કરવાનો મોકો મળ્યો છે.”