► વીરપુર, રાજકોટ, ગોંડલ, સલાયા, ખંભાળીયા, સાવરકુંડલા, ઉના, માંગરોળ, માધવપુર (ઘેડ), પ્રભાસપાટણ, વેરાવળ સહિતના શહેરો-ગામોમાં શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના આયોજનોમાં જલારામ ભકતો ઉમટી પડયા : જુનાગઢમાં 224 દીવડા સાથે મહાઆરતી યોજાઇ
રાજકોટ, તા.20 : વીરપુરના વાસી, સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 224મી જન્મ જયંતી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. ઠેર ઠેર શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા સેવાના કાર્યો થયા હતા. વીરપુરમાં હજારો જલારામ ભકતો ઉમટી પડયા હતા. શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
રાજકોટ
રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. ગોંડલ રામજી મંદિરના પૂ. શ્રી જયરામદાસજી બાપુ સહિતના સંતો-મહંતોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવેલ હતું. વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇને પંચનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રા વિરામ પામી હતી. ત્યાં મહાઆરતી તથા મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો થયા હતા.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા જલારામ જયંતિની ઉજવણી અનેરા ઉલ્લાસ સાથે કરાઇ હતી. મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
ગોંડલ
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભર માં પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાય રહી છે ત્યારે આજે ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાઈ હતી. ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતી ઉજવવાવાનું આયોજન કરવામાં આવેલ હતું આ તકે સવારે 9 પૂજનવિધિ રાખવામાં આવી હતી.જેમાં ગોંડલ શ્રી રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ ના આશીર્વાદ સાથે પૂજનવિધિ કરી સાથે સવારે 11 થી 2 દરમ્યાન લોહાણા મહાજનવાડી ખાતે સર્વ જ્ઞાતિ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું અહીં માત્ર ગોંડલ ના લોહાણા જ્ઞાતિ ના ભાઈઓ બહેનો ઉપરાંત અન્ય વિવિધ સમાજ ના શ્રેષ્ઠિઓ તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂ. જલારામ બાપાનો પ્રસાદ લીધો હતો. ગોંડલ લોહાણા સમાજ દ્વારા બપોરે લોહાણા મહાજનવાડીથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શ્રી લોહાણા મહાજન દ્વારા આ વર્ષે જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિતે 2 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા. 18 ને શનિવાર ના રોજ રક્તદાન કેમ્પ તેમજ રાત્રીના જલારામ બાપાની ઝાંખી નું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં સર્વ સમાજના 175 રક્ત દાતાઓએ રક્તદાન કરી રક્તદાન કેમ્પ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સલાયા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે રવિવારે જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિતે સમુહ પ્રસાદ સાથે સેવાભાવીઓનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલારામ મંદિરે મહાજનના આમંત્રણને માન આપીને ખાસ આવેલા અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને શ્રી બાલવી માતાજીની ચૂંદડી ઓઢાડીને સલાયા શહેર ભાજપના મહામંત્રી અને સલાયા નવરાત્રી સમીતીના ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવાએ સન્માન કર્યું હતું. આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેડક્રોસ સોસાયટીના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, તાલુકા પંચાયત સદસ્ય ઘેલુભા હમીરજી જાડેજા તેમજ ખંભાળિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીરુભા જાડેજાને પણ લોહાણા મહાજન વાડી ખાતે લાલજીભાઈ ભૂવા દ્વારા લોહાણા મહાજન વાડીએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ સમગ્ર આયોજનના અગ્રણી અને સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલનું પણ લાલજીભાઈ ભૂવા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલા સંત શિરોમણી પૂજ્ય જલારામબાપા ની 224 મી જન્મ જયંતિ જલારામ યુવક મંડળ દ્વારા રઘુવંશી ભાઈઓ એ ભવ્યરીતે ઉજવણી કરવામાં આવેલ શ્રી રમુદાદાની નિશ્રામાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા ફરેલ બપોરનું જ્ઞાતિ ભોજન સમસ્ત લોહાણા સમજદ્વાર કરવામાં આવેલ સાંજનું ભોજન ઓધવજીભાઈ મધવાણી પરિવાર દ્વારા રાખવામાં આવેલ નિરંજન પંડિયાં, વિજયદાન ગઢવી, ગોપી પટેલ દ્વારા આજે રાત્રીના ભવ્ય સંતવાણી પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
ઉના
ઉના રઘુવંશી સમાજ દ્રારા આયોજીત 224મી જલારામ જયંતિ નિમિતે ડી.જે તાલ ભવ્ય શોભાયાત્રા સાથે શહેરના માર્ગો તેમજ બજારોમાં ધામધુમપૂર્વક નિકળી હતી. આ પ્રસંગે રઘુવંશી સમાજના આગેવાનો વડીલો મહીલાઓ બાળકો સહીત બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.224 મી જલારામ જયંતિ નિમિતે ઉના શહેરમાં રઘુવંશી સમાજ રઘુવંશી યુવા ગ્રુપ આયોજીત જલારામ જયંતિ નિમિતે જલારામ વાડીએ થી પાલખી નિકળી હતી. ઉના શહેરનાં રાજમાર્ગો પરથી ત્રિકોણ બાગ, ટાવર ચોક તેમજ મુખ્ય બજારમાંથી ડી. જે. ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમ્યાન ટાવર ચોક ખાતે ધારાસભ્ય કે.સી રાઠોડ, ઉના નગર પાલીકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, ન. પાલિકા નગર સેવક અલ્પેશ બાંભણીયા સહીતના લોકોએ જલારામ બાપાને ફુલ હારતોરા પહેરાવી અને પાલખીની શોભાયાત્રા વધારી હતી. અને વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ યશવંતભાઇ બાંભણીયા તથા બજરંગ દળ પ્રમુખ પાર્થ રૂપારેલિયા સહીતના બહોળી સંખ્યામાં લોકો તેમજ રઘુવંશી સમાજના આગેવાનો, વડીલો, મહીલાઓ બાળકો સહીત પાલખીમાં જોડાય ધન્યતા અનુભવી હતી.
માંગરોળ
માંગરોળ જલારામ મંદિર ખાતે 224 મી જલારામ જયંતિ હોવાથી આજે સવારે ચરણ પાદુકા પુજન,અન્નકુટ મહાભોગ પરસાદ, મહા આરતી તેમજ અન્ય દર્શન નો લાભ લેવા આજે સવાર થી દર્શનાર્થીઓ ની ભીડ ભારે ભીડ જામી હતી તેમજ બપોરે જલારામ બાપા ના મહાપ્રસાદ નો લાભ લેવા લોકો ઉમટી પડયા હતા જલારામ ભકતોએ બહોળી સંખ્યામા મહાપ્રસાદ નો લાભ લઇ ધન્ય બન્યા હતા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભકતો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.
માધવપુર (ઘેડ)
માધવપુર (ઘેડ)માં જલારામ મંદિરે સવારે મહા અન્નકૂટ યોજવા માં આવ્યો હતો બપોરે 12.30 કલાકે મહાપ્રસાદ અને જલારામ મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા મેન બજાર માં થઈ મધવરાય મંદિર અને લોહાણા મહાજન વાડી શુધી યોજવા માં આવી હતી બાદ જલારામ બાપા નો પ્રસાદ કઢી ખીચડી યોજાયો હતો લોહાણા મહાજન પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કરોબારીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રભાસપાટણ
પ્રભાસ પાટણ મા એક લંડનના પરીવાર દ્વારા પંદર વર્ષ પહેલાં જલારામ બાપાનું મંદિર બનાવેલ હતુ અને ત્યાર થી જલારામ જયંતિ નિમિત્તે તેવો પ્રભાસ પાટણ આવે છે અને ધામ ધુમ થી જલારામ જયંતી ઉત્સવ મનાવે છે પ્રભાસ પાટણ એક લંડન નાં પરિવાર જલારામ બાપાનું મંદિર બનાવેલ છે અને 18 વર્ષથી દર જલારામ જયંતિ નિમિત્તે ખાસ પ્રભાસ પાટણ પધારે છે અને જલારામ જયંતિને આસ્થાભેર ઉજવણી કરે છે અને તેમની સાથે અમેરિકા ન્યૂઝીલેન્ડ યુકે પોર્ટુગીઝ અને ભારત અને ગુજરાતમાંથી જલારામ બાપા ભક્તો પધારેલા જલારામ જયંતિ નિમિત્તે ચાર કલાકે જલારામ મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવેલ ફટાકડાની રમઝટ સાથે શોભાયાત્રા નિકળેલ અને મુખ્ય બજાર અને જુદા જુદા વિસ્તારોમાં ફરી અને સોમનાથ મુકામે તાલી રાસની રમઝટ બોલાવી હતી અને શોભાયાત્રાના રૂટમાં તમામ લોકો ને બુંદી ગાંઠિયા ની પ્રસાદી આપવામાં આવેલ શોભાયાત્રા મા પ્રભાસ પાટણ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રા સાંજના સાત કલાકે પૂર્ણ થયેલ હતી.
ખંભાળીયા
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં રવિવારે ભક્તિસભર માહોલ વચ્ચે અનેકવિધ કાર્યકરોમાં યોજવામાં આવ્યા હતા. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે જલારામ મંદિર ખાતે આકર્ષક રોશની અને શણગાર વચ્ચે પૂજ્ય જલારામ બાપાની ઝાંખીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા. જલારામ જયંતિ નિમિત્તે ગઈકાલે અહીંના જલારામ બાપાના મંદિર પરિસર ખાતે કરવામાં આવેલી વિશાળ, આકર્ષક રંગોળી તેમજ અન્નકૂટ દર્શનનો લાભ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો. ગઈકાલે સવારથી જલારામ બાપાના મંદિરની 108 પ્રદક્ષિણા કરી, અનેક ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ, મહા આરતી તેમજ બપોરે પ્રસાદનો લાભ પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો.દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે બપોરે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ ભોજન(સારસ્વત માસ્તાન) બાદ સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. અબીલ ગુલાલની છોળો તેમજ ફટાકડાની આતશબાજી સાથે શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વેરાવળ
વેરાવળ-સોમનાથમાં ધાર્મિક કાર્યક્રમો સાથે પૂ.જલારામ જ્યંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ જેમાં જલારામ મંદિર બે ટાઈમ વિશેષ મહાઆરતી, અન્નકોટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા. વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 224 મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અત્રે મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદમાં બપોર અને સાંજે નાસિકના ઢોલ સથવારે મહાઆરતી કરવામાં આવી હતી જ્યારે વિવિધ વાનગીઓનો અન્નકોટ પૂ.બાપાના ચરણોમાં ધરવામાં આવેલ જેના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી. મંદિરને રંગબેરંગી લાઈટો અને ફૂલોથી શણગાર કરવામાં આવેલ હતો. બપોરે જલારામ મંદિરેથી જલાબાપાની ભવ્ય વિશાળ શોભાયાત્રાનો લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઇ દાવડા, અશોકભાઇ ગદા, નીતુભાઇ રાડીયા, ભરતભાઇ ચોલેરા, બીપીનભાઇ અઢીયા, મુકેશભાઇ ચોલેરા સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયેલ જે શહેરના વિવિઘ રાજમાર્ગો ઉપર ફરી હતી.
જુનાગઢ
ગઇકાલે જલારામ બાપાની 224મી જન્મ જયંતિના ભાગરૂપે 224 દિવડા પ્રગટાવી મહાઆરતી, પૂજન, કીર્તન, ધુન સાથે વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રા જુનાગઢના જાહેર રોડ પર ફલોટસ સાથે નીકળી હતી. જુનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસ નજીક આવેલ જલારામ બાપાના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું. માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જલારામ બાપાની ઝુંપડી સન્મુખ 224 દિવડાની આરતી અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા હતા. બપોરના 2.30 કલાકે સુધી રઘુવંશી પરિવારનું નાત ભોજન જેમાં પ્રથમ વખત સમસ્ત સારસ્વત બ્રાહ્મણ પરિવારોને ભોજન બાદ 4 કલાકે પોસ્ટ ઓફિસ રોડ, જલારામ મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી.