દિવાળી બાદના સપ્તાહમાં ડેંગ્યુના નવા 10 કેસ

20 November 2023 03:38 PM
Rajkot
  • દિવાળી બાદના સપ્તાહમાં ડેંગ્યુના નવા 10 કેસ

ચીકનગુનીયાના બે સહિત ચાલુ વર્ષમાં અઢી ગણા દર્દી વધ્યા : સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો

રાજકોટ, તા. 20
શહેરમાં દિવાળી બાદના અઠવાડિયામાં પણ મચ્છરજન્ય રોગચાળો ચાલુ રહ્યો છે તો સિઝનલ અને વાયરલ ઇન્ફેકશનના કેસમાં મનપાના ચોપડે થોડો ઘટાડો નોંધાયો છે.

ધોકાના દિવસ તા. 13થી તા.19 સુધીના અઠવાડિયામાં ડેંગ્યુના વધુ 10 કેસ આવ્યા છે. વર્ષમાં આ કેસનો કુલ આંકડો 171 થયો છે. જે હજુ ગત વર્ષના 239 કરતા ઓછો છે. સપ્તાહમાં ચીકનગુનીયાના નવા બે કેસ આવ્યા છે. 2022માં આ તાવના કુલ કેસ 29 હતા અને ચાલુ 2023માં અઢી ગણા નજીક 67 પર પહોંચી ગયા છે. અઠવાડિયામાં મેલેરીયાનો નવો કોઇ કેસ નહીં આવ્યાનું વિભાગે જણાવ્યું છે.

આ દિવસોમાં શરદી, ઉધરસના વધુ 501, સામાન્ય તાવના 43 અને ઝાડા-ઉલ્ટીના 96 દર્દીની નોંધ ચોપડે ચડી છે. આ સિઝનલ રોગચાળના કેસ દિવાળી પહેલાના પખવાડીયા કરતા થોડા ઘટેલા દેખાયા છે.

મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 39,443 ઘરોમાં પોરાનાશક અને 1486 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે બેદરકારીથી જયાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય ત્યાં દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત રપ6 જગ્યાએ ચેકીંગ કરી રહેણાંકમાં 151 અને કોર્મશીયલ 28 આસામીને નોટીસ આપવામાં આવેલ છે. લોકોને હજુ આ રોગચાળાથી બચવા પૂરતી તકેદારી રાખવા તંત્રએ અપીલ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement