નવી દિલ્હી, તા 21 : સુપ્રીમ કોર્ટે સોમવારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોની આત્મહત્યાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ માટે માતાપિતાના દબાણને જવાબદાર ગણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પીઆઈએલ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમાં ઝડપથી વિકસતી કોચિંગ સંસ્થાઓ પર દેખરેખ અને નિયમનની માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીએ જણાવ્યું હતું કે બાળકોને કઠિન સ્પર્ધા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની માતાપિતાની મજબૂત જવાબદારી છે દેશભરમાં વધતી જતી આત્મહત્યાનું મુખ્ય કારણ ’પ્રેશર’ છે. જો કે, ખંડપીઠે આ કેસમાં કોઈ આદેશ પસાર કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ન્યાયતંત્ર આવા સંજોગોમાં નિર્દેશ આપી શકે નહીં.
ખંડપીઠે અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ મોહિની પ્રિયાને કહ્યું કે આ સરળ વસ્તુઓ નથી, આ બધી ઘટનાઓ પાછળ માતા-પિતાનું દબાણ છે. બાળકો પર તેમના માતા-પિતા નું વધુ દબાણ છે સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રિયા મોહિનીએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 2020ના ડેટાને ટાંકીને કહ્યું કે આ દર્શાવે છે કે દેશમાં લગભગ 8.2 ટકા વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે પરિસ્થિતિથી વાકેફ છે પરંતુ કોર્ટ આદેશ આપી શકે નહીં.