રાજકોટ. તા.16
રાજકોટના નાગેશ્વર મંદિરની પાછળ આવેલ શંખેશ્વર એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય હિરેન લશ્કરી નામના યુવાને પોતાનો ફ્લેટ બંધ કરી રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં નાગેશ્વર મંદિરની પાછળ આવેલ શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતાં હિરેન જયેશભાઇ લશ્કરી (ઉ.વ.22) નામના યુવાને ગઈકાલે પરિવારજનો બહાર ગયા બાદ રાતના દસ વાગ્યાની આસપાસ પોતાનો ફ્લેટ બંધ કરી રૂમમાં પંખાના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બાદમાં પરિવારજનો ઘરે આવતાં ફ્લેટ અંદરથી બંધ હતો. જેથી બાજુના ફ્લેટની બાલ્કનીમાંથી બારી ખોલી જોતા પુત્ર લટકેલો જોવા મળતાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો. બાદમાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતકની માતા અને તેના પિતા 12 વર્ષ પહેલાં અલગ થઈ ગયાં બાદ મૃતક તેની માતા સાથે રહેતો બાદમાં તેમની માતાએ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી નલિનભાઈ શાહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં તેઓ તેમની સાથે રહેતાં હતાં. મૃતક હિરેને હાલમાં જ ધ્રોલમાં આવેલ નુરી હાઈસ્કૂલમાં ધો.12 ની પરીક્ષા આપી હતી. તે બે ભાઈમાં મોટો હતો. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy