રાજકોટ, તા. 17
રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 અને વિધાનસભાની પ બેઠકોની આગામી તા. 7 મેના આયોજિત કરાયેલ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા ગત તા. 12 એપ્રિલના જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ મુરતીયાઓના નામાંકન પત્રની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જેમાં નામાંકનપત્ર ભરવાની અંતિમ તા. 19 નિયત કરાયેલ છે. જેને આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ લોકસભાની બેઠક માટે અત્યાર સુધીમાં 319 જેટલા ફોર્મ ઉપડાયા બાદ હજુ માત્ર ત્રણ ઉમેદવારોના જ નોમીનેશન થયા છે.
રાજકોટ લોકસભાની હોટ ગણાતી આ બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા 180 જેટલા ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી પ્રથમ દિવસે જ ઉપાડી લેવામાં આવેલ હતા. ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા એક પણ ફોર્મ ભરીને હજુ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સબમીટ થવા પામેલ નથી. આ બાબતે ખાસી ચર્ચા જગાવી દીધી છે.
પ્રારંભિક તબકકે ક્ષત્રિય સમાજ દ્વારા 180 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડી લેવાતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. તેની સાથોસાથ બેલેટ પેપરથી ચૂંટણીની નોબત આવે તો નવાઇ નહીં તેવી પણ ચર્ચા થવા લાગી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ઉપાડાયા બાદ ઉમેદવારીને એકાએક બ્રેક મારી દેવામાં આવી છે. જોકે આવતીકાલથી ઉમેદવારોના નોમીનેશનની પ્રક્રિયા વેગ પકડશે. બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવેલ છે. તેના નામાંકન થશે કે કેમ ? તેના તરફ પણ મીટ મંડાયેલી છે.
વર્તમાન સ્થિતિ તરફ નજર નાંખતા અત્યાર સુધીમાં ભાજપના પરસોતમભાઇ રૂપાણી અને તેમના ડમી ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારીયાએ તેમના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ સબમીટ કરાવી પરસોતમભાઇ રૂપાણીએ વાજતે-ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તે પૂર્વે એક અપક્ષ ઉમેદવારે પણ નામાંકન પત્ર સબમીટ કરાવતા અત્યાર સુધીમાં માત્ર ત્રણ ઉમેદવારોના જ નામાંકનપત્ર સબમીટ થવા પામેલ છે.
જો ઉમેદવારો ન વધે તો હાલની સ્થિતિ મુજબ ચૂંટણીમાં એક ઇવીએમ મશીનની માંડ જરૂર પડે તેવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યું છે. અહીં પણ ઉલ્લેખનીય છે કે અગાઉ ક્ષત્રિય સમાજ દ્વારા 384થી વધુ ઉમેદવારો રાજકોટ બેઠક પરથી ઉભા રાખવાની વાતો વહેતી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજનું એક પણ ફોર્મ ભરાઇને સબમીટ ન થતા હવે આખરી બે દિવસ ખરાખરીના માનવામાં આવી રહ્યા છે. આગામી તા.19 સુધીમાં જ ઉમેદવારો પોતાના નામાંકનપત્રો ચૂંટણી અધિકારી સમક્ષ સબમીટ કરાવી શકશે. જે બાદ તા.ર0ના ઉમેદવારીપત્રોની ચકાસણી અને ત્યારબાદ તા.22ના ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે જે બાદ રાજકોટ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે.
► પોસ્ટલ બેલેટથી મતદાન માટે કાલે અમદાવાદમાં યોજાશે એકસચેંજ મેળો
રાજકોટથી 7146 ફોર્મ સાથે નોડલ અધિકારીને રવાના કરાશે : જિલ્લામાં 15388 સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન
લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ વખતે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવતીકાલે તા.18ના અમદાવાદ ખાતે સૌપ્રથમવાર એકસચેંજ મેળો આયોજીત કરવામાં આવેલ છે.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ફરજ બજાવતા 1પ388 સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર છે. આ માટે આ કર્મચારીઓ દ્વારા ફોર્મ નં.12 ભર્યા છે. અમદાવાદ ખાતે આવતીકાલે યોજાનારા આ એકસચેંજ મેળામાં 7146 ફોર્મ મોકલવામાં આવનાર છે.
આ ફોર્મ સાથેની યાદી લઇ નોડલ અધિકારી મંડળ અમદાવાદ જવા રવાના થનાર છે. સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આ પ્રકારનો એકસચેંજ મેળો સૌપ્રથમવાર અમદાવાદ ખાતે યોજાઇ રહ્યો છે. જયારે રાજકોટ લોકસભા બેઠકના 66 થી 72 વિધાનસભા વિસ્તારના 8242 કર્મચારીઓના ફોર્મ રાજકોટમાં રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy