♦ પુરૂષોની સરખામણીએ મહિલા મતદારોનું ટકાવારીની દ્રષ્ટિએ 9 ટકા ઓછું મતદાન: સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય અને સૌથી ઓછુ મતદાન દ્વારકા વિધાનસભા બેઠકમાં નોંધાયું

જામનગર લોકસભા બેઠક ઉપર 57.67 ટકા મતદાન: પરિણામ અંગે સસ્પેન્સ

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 08 May, 2024 | 12:09 PM
♦ સાત વિધાનસભા બેઠકોમાં નોંધાયેલા કુલ 18,17,864 મતદારો પૈકી 10,48,291 મતદારોએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ: જામનગર બેઠકમાં મતદાનમાં સ્ત્રી સશકિતકરણનો છેદ ઉડયો
સાંજ સમાચાર

જામનગર, તા.8
જામનગર લોકસભા બેઠક ઉપર ગઇકાલે યોજાયેલા મતદાનમાં સરેરાશ 57.67 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગત લોકસભાની ચૂંટણીની સરખામણીએ આશરે 3 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. કુલ 18,17,864 મતદારો પૈકી 10,48,291 મતદારોએ મતદાન કર્યુ હતું. આ મતદાનમાં સૌથી મહત્વની બાબત પુરૂષો કરતા મહિલાઓનું મતદાન 9 ટકા જેટલું ઓછુ નોંધાયું હતું. મહિલાઓનું  આ ઓછું મતદાન કોને તારશે અથવા કોને ડુબાડશે? તે અંગે અટકળો શરૂ થઇ છે. આગામી તા.4 જૂનના રોજ મત ગણતરી થશે ત્યારે હાર-જીત અંગેના અનુમાનોનો દોર પુરો થશે અને પરિણામ સ્વરૂપે વાસ્તવિકતા બહાર આવશે.

જામનગર લોકસભા બેઠક ઉપર ગુજરાતની અન્ય 24 બેઠકોની સાથે મતદાન યોજાયું હતું. સવારે સાત કલાકે શરૂ થયેલા મતદાન બાદ મતદાનની પ્રક્રિયામાં ચડાવ-ઉતાર જોવા મળ્યા હતા. દિવસભરનું મતદાન ટૂંકમાં જણાવ્યે તો સવારે 7 થી 9 દરમ્યાન પ્રથમ બે કલાકનું જામનગર બેઠકનું સરેરાશ મતદાન 8.88 ટકા થયું હતું. આ મતદાન 11 વાગ્યા સુધીમાં વધીને 20.85 ટકાએ પહોંચ્યું હતું.

  વધુ બે કલાક એટલે કે બપોરના 1 વાગ્યા સુધીમાં જામનગર લોકસભા બેઠકના મતદાનની ટકાવારી 34.62 ટકા રહી હતી. સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે આઠ કલાક દરમ્યાન જામનગર બેઠકનું સરેરાશ મતદાન 42.52 ટકા જેટલું થયું હતું. આ પછી મતદાનમાં વધારો થયો હતો અને સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 52.36 ટકા થયું હતું. સૌથી વધુ મતદાન ટાઢાપોરનો સમય ગણાતા સાંજે 5 થી 6 દરમ્યાન છેલ્લી એક કલાકમાં થયું હતું. 5.31 ટકાના ઉછાળા સાથે સમગ્ર દિવસ દરમ્યાનનું જામનગર બેઠકનું કુલ સરેરાશ મતદાન 57.67 ટકાએ પહોંચ્યું હતું. 

જામનગર જિલ્લાની વાત કરીએ તો કુલ 1247 બુથ ઉપર ગઇકાલે મતદાન થયું હતું. વિધાનસભા બેઠક પ્રમાણે વાત કરીએ તો કાલાવડ બેઠક ઉપર 2,31,328 મતદારોમાંથી 1,33,436 મતદારોએ મતદાન કર્યુ હતું. જેની ટકાવારી 57.68 થાય છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર નોંધાયેલા 2,57,687 મતદારોમાંથી 1,56,610 મતદારોએ મતદાન કરતા આ બેઠકનું મતદાન 60.78 ટકા રહ્યું હતું. જામનગર શહેરની 78 જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા 2,71,560 મતદારોમાંથી 1,61,150 મતદારોએ મતદાન કરતા આ વિસ્તારનું મતદાન 59.34 ટકા મતદાન નોંધાયું હતું.

જામનગર શહેરની બીજી વિધાનસભા બેઠક 79 જામનગર દક્ષિણમાં નોંધાયેલા 2,29,732 મતદારોમાંથી 1,35,830 મતદારોએ મતદાન કર્યુ હતું જે ટકાવારીની દ્રષ્ટિએ 59.13 ટકા હતું. જામજોધપુર વિધાનસભા બેઠકમાં નોંધાયેલ કુલ 2,27,399 મતદારોમાંથી 1,31,087 એટલે કે 57.65 ટકા મતદારોએ મતદાન કર્યુ હતું. 

જામનગર લોકસભા બેઠક હેઠળ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં ગઇકાલે થયેલા મતદાન જોઇએ તો ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર નોંધાયેલા 3,05,059 મતદારો પૈકી 1,72,413 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ 56.52 ટકા થાય છે. જયારે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા 2,95,099 મતદારોમાંથી 1,57,765 એટલે કે 53.46 ટકા મતદારોએ મતદાન કર્યુ હતું. 

જામનગર લોકસભા બેઠક ઉપર આવેલી સાત વિધાનસભા બેઠકો પૈકી સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 60.78 ટકા જયારે સૌથી ઓછુ મતદાન ભાજપ માટે સંજીવની મનાતી દ્વારકાની બેઠક ઉપર માત્ર 53.46 ટકા થયું હતું. 

આમ જામનગર લોકસભા બેઠક ઉપર આવતા જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આવેલી તમામ સાત વિધાનસભા બેઠકો ઉપરનું મતદાન જોઇએ તો કુલ 18,17,864 મતદારોમાંથી 10,48,291 મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં 5,87,355 પુરૂષ મતદાર અને 4,60,923 સ્ત્રી મતદારોએ તેમજ અન્ય જાતિના 13 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જામનગર જિલ્લાના 1247 પૈકી 304 સંવેદનશીલ મતદાન કેન્દ્ર ખાતે સુરક્ષા વિશેષ રાખવામાં આવી છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ સંવેદનશીલ મથકો કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં 281માંથી 69 જેટલા છે. અન્ય વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ તો જામજોધપુરમાં 270માંથી 66, જામનગર ગ્રામ્યમાં 270માંથી 68 જયારે જામનગર શહેરની જામનગર ઉત્તર બેઠકમાં 229માંથી 48 અને જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર 197માંથી 53 બુથ સંવેદનશીલ છે.

ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે જામનગર જિલ્લામાં સંવેદનશીલ બુથની સંખ્યામાં 65 બુથનો વધારો થયો છે. જેમાં જામનગર ગ્રામ્યમાં 11, જામજોધપુરમાં 9, કાલાવડમાં 11, જામનગર ઉત્તરમાં 17, જામનગર દક્ષિણ 22 સંવેદનશીલ બુથ નવા ઉમેરાયા છે. સંવેદશનીલ બુથની સંખ્યામાં થયેલ 65 બુથનો વધારો ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે થયો હોવાનું માનવામાં આવે છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj