રાજકોટ, તા.25
ધોરાજી તાલુકાના સુપેડી ગામે વિખ્યાત મુરલી મનોહર મંદિરની સીડીએ બેઠેલા વૃદ્ધા પર કાર ફરી વળી હતી જેનું સારવારમાં મોત થયું હતું. ફરિયાદી મહેશભાઈ જયંતીભાઈ માત્રાવડીયા (ઉ.વ.69 હાલ રહે- સુપેડી પોસ્ટ ઓફીસની બાજુમાં ચંદુભાઇ ઘેટીયાના મકાનમાં ભાડેથી તા. ધોરાજી)એ જણાવ્યું કે, ગત તા.21/04/2024 ના રોજ સાંજના સાડા ચાર વાગ્યે હું સુપેડી ગામની ઝાંઝમેર રોડ પર આવેલ રંગોલી પાને બેસવા ગયેલ. સાંજના આશરે સાડા છ એક વાગ્યે મારી પૌત્રી જાનકીબેનનો મને ફોન આવેલ અને ફોનમાં અમારા પાડોશમાં રહેતા શિલ્પાબેનના ભાઈ ચેતનભાઇએ મને વાત કરેલ કે, તમારા પત્ની કમળાબેન મુરલી મનોહર મંદિરની સીડીઓ પાસે કોઈએ ગાડી ચડાવી દીધી છે.
તમારા ઘરનાને લાગી ગયેલ છે. તમે જલ્દી આવો. જેથી હું ત્યાં ગયેલ અને ત્યાં જઈને મેં જોયેલ તો મંદિરની સીડીઓ પાસે ગામના માણસો ભેગા થયેલ હતા. મારી પૌત્રી પણ હાજર હતી. મારી પત્નીને નીચે જમીન પર સુવડાવેલ હતા અને તે બેભાન હાલતમાં હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પરના ડોકટરે મારી પત્ની કમળાબેનને મૃત જાહેર કરેલ. બનાવનુ કારણ એ છે કે, મારી પત્ની અને અમારી પાડોશમાં રહેતા શિલ્પાબેન ભાર્ગવભાઈ ભાલોડીયા દરરોજ સાંજના સમયે ગામમાં ચાલવા જતા હોય અને તે દિવસે પણ ગામમાં મુરલી મનોહર મંદિરના રસ્તે ચાલવા ગયેલ હતા.
ત્યાં થાક લાગતા મુરલી મનોહર મંદિરની સીડીઓ પર બેસેલ હતા. ત્યાં એક સ્વીફટ ફોરવ્હીલ કાર જીજે-03-સીઈ-1879 નંબરની ત્યાં ઉભેલ હોય અને ગૌશાળા તરફથી એક મીની ટ્રેકટરના ચાલકે તેનુ ટ્રેકટર ફુલ સ્પીડમાં ચલાવીને આ કારને પાછળથી ઠોકર મારતા આ કારની ઠોકર ત્યાં પગથીયે બેસેલ મારી પત્ની કમળાબેનને લાગતા મોત થયું છે. મીની ટ્રેકટર સુપેડી ગામના જ પરષોતમભાઇ પટેલનું છે. જે ટ્રેકટર ચાલક સામે ગુનો દાખલ થયો છે. કમળાબેન અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના દેવગઢમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. 2013માં નિવૃત થયા હતા. મૃતકને સંતાનમાં બે દીકરા છે. તેઓ અગાઉ રાજકોટ જ રહેતા હતા. છ મહિનાથી પૌત્રીના મેડિકલના અભ્યાસ માટે સુપેડી રહેવા ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy